ભારતના 2 સ્ટાર સ્પિનરો વચ્ચે ચાલતી ટ્વિટર વૉરનો આવ્યો અંત
ભારતીય ક્રિકેટ-ટીમમાંથી બહાર રહેલા ટર્બોનેટર અને ભજીના નામથી જાણીતા હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે મતભેદના સમાચારો વચ્ચે એક લાગણીશીલ ટ્વીટ આવ્યું છે. રવિચંદ્રન અશ્વિને વિવાદના તમામ સમાચારો પર પાણી ફેરવતાં હરભજન સિંહને પોતાનો પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો. અશ્વિને ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘હરભજન સિંહ એક પ્રેરણાસ્રોત ખેલાડી છે. મેં સ્પિન બોલિંગની શરૂઆત ઑસ્ટ્રેલિયા સામે ૨૦૦૧માં હરભજનની બોલિંગને જોઈને જ કરી હતી. મતભેદોના સમાચાર બકવાસ છે.’
અશ્વિને વધુમાં કહ્યું હતું કે ‘બે ખેલાડીઓને એકબીજા વિરુદ્ધ ભડકાવીને માત્ર મસાલેદાર હેડલાઇન્સ સિવાય કંઈ નથી મળવાનું. મહેરબાની કરીને લોકોનું સન્માન કરો અને રમતને સ્વચ્છ રહેવા દો.’ હરભજન સિંહે પણ જવાબમાં કહ્યું હતું કે ‘તારા વિરુદ્ધ કંઈ નથી કહ્યું. કેટલાંક કારણોથી મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.’
મહત્વની વાત એ છે કે ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે હરભજન સિંહે કહ્યું હતું કે ‘અશ્વિનની સફળતા પાછળ પિચ જવાબદાર છે. તેના માટે મદદગાર પિચ તૈયાર કરવામાં આવે છે.’
જવાબમાં અશ્વિને કહ્યું હતું કે ‘મારી સફળતા પાછળ મારી મહેનત છે. પિચ જરૂર થોડી મદદ કરે છે.’
ત્યાર બાદ ભારતે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ જીતી ત્યારે હરભજન સિંહે ફરી એક વાર પિચ-ક્યુરેટરની ટીકા કરી હતી. ભજીએ કહ્યું હતું કે ‘અમારા સમયે આ પ્રકારની સ્પિનરો માટે મદદગાર પિચ નહોતી આપવામાં આવતી. અત્યારે ભારતીય બોલરોને જે પ્રકારની પિચ આપવામાં આવે છે એનાથી તેમને વધુ સફળતા મળે છે.’ એના પર અશ્વિને કહ્યું હતું કે ક્રિકેટમાં પ્રતિભા કામ આવે છે, નહીં કે પરિસ્થિતિ.
ADVERTISEMENT
સિદ્ધિઓ વિશે વિચારતાં રમતની મજા બગડી જાય છે : અશ્વિન
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન આગામી દસ ટેસ્ટ-મૅચમાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ સુધી પહોંચવાને મામલે વિચારીને જાત પર વધારાનું દબાણ નથી નાખવા માગતો, કારણ કે તેના મતે આના કારણે કોઈ પણ ખેલાડી પોતાની રમતનો આનંદ નથી ઉઠાવી શકતો. અશ્વિને અત્યાર સુધી ૩૯ મૅચમાં ૨૨૦ વિકેટ લીધી છે જે એક રેકૉર્ડ છે. તેણે સ્વીકાર્યું હતું કે ‘અત્યારે કરીઅરના સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. મારો લય અને ઍક્શન એવાં જ છે જેવાં મેં વિચાર્યા હતાં. હું વિચારુ છું કે મેં શું સારું કર્યું અને શું ખોટું, પરંતુ એટલી ખબર પડી ગઈ છે કે ઘણી વખત લય મેળવવો મુશ્કેલ હોય છે.’