ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે પહેલાંના મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે ૨૦૧૨ના નવેમ્બરમાં ઇન્ડિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ગુજરાતનો એકમાત્ર ચેતેશ્વર પુજારા જ હતો જેનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થયો હતો. આજે ૯ વર્ષ બાદ સમય બદલાયો છે અને ઇંગ્લૅન્ડ સામે જ અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં એક-બે નહીં, ચાર-ચાર ગુજરાતના ખેલાડીઓ ટીમમાં સામેલ છે. આ ચાર ગુજરાતીમાંથી ચેતેશ્વર પુજારા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈને મેદાનમાં ઊતર્યા હતા, જ્યારે ટીમમાં સામેલ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મોકો નહોતો મળ્યો. આમ કદાચ આવું પહેલી જ વાર જોવા મળ્યું છે કે ટીમમાં ગુજરાતના
ચાર-ચાર ખેલાડીઓ સામેલ હોય.
ADVERTISEMENT
બીજું, એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચ બાદ ભારતીય ટીમમાંથી સ્ટૅન્ડબાય પ્લેયર સામેલ ગુજરાતના કૅપ્ટન પ્રિયાંક પંચાલને રિલીઝ કરવામાં આવ્યો હતો. હા, બીજું રવીન્દ્ર જાડેજાને પણ ન ભૂલવો જોઈએ. જો તે ઈજાગ્રસ્ત ન હોત તો ટીમમાં તેનો ચોક્કસ સમાવેશ કરવામાં આવ્યો હોત.
દરમ્યાન વન-ડે અને ટી૨૦ ટીમમાં કૃણાલ પંડ્યા અને જયદેવ ઉનડકટ જેવા ગુજરાતના પ્લેયર્સ પણ કમબૅક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્ટેટ બોર્ડ કરી રહ્યું છે પાયાનું કામ
ગુજરાતથી આવી રહેલા ખેલાડીઓની સંખ્યા જેમાં બરોડા ક્રિકેટ અસોસિયએશન (બીસીએ), સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (એસસીએ) અને ગુજરાત ક્રિકેટ અસોસિયએશન (જીસીએ)ના ખેલાડીઓનો સમાવેશ છે એ જોતાં એવું ચોક્કસ લાગી રહ્યું છે કે ગુજરાત ભારતીય ક્રિકેટનું નવું પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે. દેશમાં અમુક રાજ્યો જેમાં એકથી વધુ ક્રિકેટ અસોસિએશન કાર્યરત છે એમાં ગુજરાતનો પણ સમાવેશ છે. આ ત્રણેય અસોસિએશનના સંયુક્ત પ્રયાસના ફળસ્વરૂપે જ આજે ભારતીય ક્રિકેટમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાત રણજી ટ્રોફીના કોચ વિજય પટેલે આ બાબતે કહ્યું કે ‘સીઝન પહેલાંની અમારી તૈયારીના ભાગરૂપે અમે ત્રણેય અસોસિયએશને G1 ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં અમે દરેક વયજૂથ માટે ટી૨૦, વન-ડે અને બે દિવસીય મૅચનું આયોજન કર્યું હતું. અમે ત્રણેય અસોસિએશને સાથે મળીને આ ટુર્નામેન્ટ ક્યાં અને ક્યારે યોજવી એ નક્કી કરતા હોઈએ છીએ જેથી અમારા રેગ્યુલર પ્લેયર એમાં રમી શકે.’
સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે કહ્યું હતું કે ‘આ પ્રકારની ટુર્નામેન્ટને લીધે પ્લેયરોને વધારે તક મળી રહે છે. વિવિધ પ્લેયર્સ અને સિલેક્ટર્સ સામે તેઓ પોતાની પ્રતિભા દાખવી શકે અને તેમની ખામી અને સ્ટૉન્ગ પૉઇન્ટ વિશે પૂરતી જાણકારી મેળવી શકાય. ક્રિકેટ બોર્ડની મૅચો ન હોય ત્યારે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ.’
જયદેવ શાહ જે સોરાષ્ટ્ર ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન રહી ચૂક્યો છે તેને લાગે છે કે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સહિત ખૂબ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપમેન્ટ તથા રાજકોટના લૉર્ડ્સ જેવા મીડિયા સેન્ટર અને પ્રૅક્ટિસ પિચોને લીધે આજે ખૂબ મોટા પ્રમાણમાં ટૅલન્ટ ઊભરી રહ્યું છે. જયદેવ શાહે વધુમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનમાં બધું પ્રોસેસ આધારિત છે. સિલેક્શન પારદર્શક અને ભેદભાદ વગરનું હોય છે. મેં જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી હું ખેલાડીઓને વધુમાં વધુ મૅચ રમવા મળે એના પર ભાર આપી રહ્યો છું. તેમને જેટલું વધુ રમવા મળશે એટલું તેઓ વધુ શીખી શકશે.’
ઘરઆંગણે જ બધી સુવિધા
બરોડા ક્રિકેટ અસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ શિશિર હટ્ટંગડીએ કહ્યું કે ‘પ્લેયરોએ પોતાની ટૅલન્ટ બતાવવા હવે બે-ત્રણ કલાકનો પ્રવાસ કરીને ક્યાંય બહાર જવાની જરૂર નથી. તેઓ હવે ઘરઆંગણે અમારા વિવિધ ટૅલન્ટ પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. અમે શક્ય એટલી વધારે સુવિધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી આ સિસ્ટમને લીધે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ટૅલન્ટેડ ખેલાડી અમારા ધ્યાન બહાર ન રહી જાય. અમારું ફોકસ નવી ટૅલન્ટને શોધીને તેને અમારા સેન્ટરમાં તૈયાર કરવા પર જ છે.’
ઍટિટ્યુડમાં આવ્યો બદલાવ
કોચ વિજય પટેલને લાગે છે કે ખેલાડીઓના સંપૂર્ણ વિકાસ માટે પ્રયાસ સ્વરૂપ તેમના ઍટિટ્યુડમાં પણ બદલાવ આવી ગયો છે. તેઓ કહે છે કે ‘અમારું આખું સેટઅપ પ્રોફેશનલ છે. અમારી પાસે સ્પેશ્યલિસ્ટ કોચ, ટ્રેઇનર અને ઍનલિસ્ટની ટીમ છે. ઉપરાંત ખેલાડીઓની ફિટનેસ પર ખૂબ ફોકસ કરી રહ્યા છીએ, કેમ કે ભારતીય ટીમમાં પ્રવેશ માટે એ આજે મુખ્ય માપદંડ બની ગયો છે એથી અમે ખૂબ યુવા વયે જ તેમને તૈયાર કરવાનું શરૂ કરી દઈએ છીએ.
એક-એક પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો હોવાના ગર્વ સાથે જયદેવ શાહે છેલ્લે કહ્યું કે ‘અમે અહીં ક્રિકેટને હૅન્ડલ કરવા માટે નથી, પણ એના સંર્પૂણ વિકાસ માટે છીએ. મને ગર્વ છે કે રાજ્યમાં ક્રિકેટનો આટલો સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે.’