આઇસીસીના ચીફ ગ્રેગોર જૉન બાર્ક્લેની સ્પષ્ટતા
જૉન બાર્ક્લે
આઇસીસીના ચીફ ગ્રેગોર જૉન બાર્ક્લેએ તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આ ચૅમ્પિયનશિપનું ફૉર્મેટ ઘણું કન્ફ્યુસિંગ અને સમજવામાં ઘણું અઘરું હોવાને લીધે એની સમીક્ષા કરવી જરૂરી છે. કોરોનાને લીધે આ ચૅમ્પિયનશિપને મોટી માત્રામાં અસર થઈ છે. થોડા સમય પહેલાં આઇસીસીએ કોરોનાને લીધે ટકાવારીના આધારે પૉઇન્ટ-ટેબલ જાહેર કર્યું હતું જેને લીધે ભારત બીજા ક્રમે અને ઑસ્ટ્રેલિયા પહેલા ક્રમે પહોંચી ગયું છે.
આઇસીસીના ચીફ બાર્ક્લેએ કહ્યું કે ‘હાલના ક્રિકેટ કૅલેન્ડરમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને લઈને ઘણી સમસ્યા સર્જાઈ હતી. આ ચૅમ્પિયનશિપ ટેસ્ટ ક્રિકેટને પ્રસિદ્ધિ અપાવવાની હતી જે લક્ષ્યમાં અમે સફળ નથી થયા. ખરી રીતે જોવા જઈએ તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ આદર્શવાદી દૃષ્ટિકોણથી સારી છે, પણ મને નથી લાગતું કે પ્રૅક્ટિકલી એ સફળ છે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે કોરોનાકાળમાં આપણે જે પ્રમાણે આગળ વધવા માગીએ છીએ એ પૉઇન્ટ્સના વિભાજન દ્વારા જ શક્ય છે, પણ આમ કરવા માટે પણ ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે હું પોતે સુનિશ્ચિત નથી કે ચાર-પાંચ વર્ષની ચર્ચા બાદ જે ઉદ્દેશ સાથે ચૅમ્પિયનશિપ શરૂ કરવામાં આવી હતી એ ઉદ્દેશ તે પ્રાપ્ત કરી શકી છે. મારા ખ્યાલથી આપણે કૅલેન્ડર પ્રમાણે આગળ વધવું જોઈએ અને ક્રિકેટરોને એવી સ્થિતિમાં ન પહોંચાડવા જોઈએ જે એની સ્થિતિ વધારે બગાડી દે.