ધોની ડોમેસ્ટિક ક્રિકેટ કેમ નથી રમતો? : ગાવસકર
સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટ બોર્ડને પૂછ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં છ મહિના બાદ થનારા વર્લ્ડ કપ પહેલાં શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોનીને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી બહાર રહેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી. ટેસ્ટ-ટીમમાંથી બહાર ધવન મેલબર્નમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે તો ધોની એક નવેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે પૂરી થયેલી સિરીઝ બાદ ક્રિકેટ નથી રમ્યો. ધોનીને ટી૨૦ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યો. તો તે ૨૦૧૪માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ગાવસકરે કહ્યું હતું કે ‘આપણે ધવન અને ધોનીને નહીં પૂછવું જોઈએ કે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ કેમ નથી રમતા. આપણે ક્રિકેટ બોર્ડ અને સિલેક્ટરોને પૂછવું જોઈએ કે તેમણે ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાની મંજૂરી કઈ રીતે આપી. જો ભારતીય ટીમે સારું રમવું હશે તો ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.’
ગાવસકરે કહ્યું હતું કે ‘ધોની ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ સિરીઝ નથી રમ્યો. વળી એ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં પણ તે ટીમમાં નહીં હોય. છેલ્લી મૅચમાં તે પહેલી નવેમ્બરે રમ્યો. હવે આગામી જાન્યુઆરીમાં રમશે. તો વર્લ્ડ કપની ટીમમાં તેના સ્થાનને લઈને સવાલ ઊઠશે. ઉંમરની સાથે રમતમાં ફેરફાર આવે છે. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં રહો તો કરીઅરને લંબાવવામાં મદદ મળી રહે.’
ADVERTISEMENT