ગંભીરની કરીઅર મેં ખતમ કરી : મોહમ્મદ ઇરફાન
નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) પાકિસ્તાન ક્રિકેટ ટીમના પેસર મોહમ્મદ ઇરફાને શેખી મારતાં પોતાને ગૌતમ ગંભીરની કરીઅરને સમાપ્ત કરવાનું કારણ ગણાવ્યું છે. ઇરફાને આજ સુધી ગૌતમ ગંભીરને લિમિટેડ ઓવર સિરીઝમાં ચાર વખત આઉટ કર્યો છે. ૨૦૧૨માં ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ઇરફાને બે વાર તેની વિકેટ લીધી હતી. ગૌતમ ગંભીર તેની છેલ્લી ઇન્ટરનૅશનલ ટી૨૦ આ સિરીઝમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. પહેલી વારમાં આ વાત થોડી અજીબ લાગે, પણ વાસ્તવમાં આ વિશે શેખી મારતાં ઇરફાને કહ્યું હતું કે ‘ગૌતમ ગંભીર મારાથી ડરે છે. મારા ખ્યાલથી તેની કરીઅર મેં જ પૂરી કરી હતી. એ મૅચ બાદ તે પાછો ટીમમાં નથી આવ્યો.’
આ સિરીઝ બાદ ગૌતમ ગંભીર ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ રમ્યો હતો અને ત્યાર બાદ ફરી રમવા નથી આવ્યો. એક પાકિસ્તાની ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં આ વાત કહેતાં ઇરફાને કહ્યું હતું કે ‘મૅચમાં મારો સામનો કરવાનું ગંભીરને પસંદ નથી. મેં ઘણી વાર નોંધ્યું છે કે તે મારી સાથે આઇ-ટુ-આઇ કૉન્ટૅક્ટ નથી કરતો. હું જ્યારે ભારત સામેની સિરીઝ રમ્યો હતો ત્યારે તે મારી સામે વ્યવસ્થિત રીતે રમી પણ નહોતો શક્યો. ૨૦૧૨માં મેં તેની ચાર વાર વિકેટ લીધી હતી. હું જ્યારે ભારતની સામે રમું છું ત્યારે તેઓ મારી હાઇટને લીધે મારી બોલિંગ સ્પીડનો અંદાજ નથી લગાડી શકતા.’