કશ્યપ અને પ્રણોય સહિત કુલ ચાર બૅડ્મિન્ટન ખેલાડી કોરોના-પૉઝિટિવ
પરુપલ્લી કશ્યપ
ભારતના ચાર બૅડ્મિન્ટન ખેલાડી કોરોના-પૉઝિટિવ થયા છે જેમાં પરુપલ્લી કશ્યપ, એચ. એસ. પ્રણોય અને આરવીએમ ગુરુ સાઈ દત્તનો સમાવેશ છે. બૅડ્મિન્ટન ડબલ્સ રમનાર પ્લેયર પ્રણવ જેરી ચોપડા પણ કોરોનાગ્રસ્ત થયો છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ)ના જણાવ્યા પ્રમાણે કશ્યપ, પ્રણોય અને ચોપડાએ હૈદરાબાદમાં ૨૫ નવેમ્બરે ગુરુ સાઈ દત્તના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. પુલેલા ગોપીચંદ ઍકૅડેમીમાં ચાલી રહેલી બૅડ્મિન્ટન નૅશનલ કૅમ્પમાં ભાગ લેવા પહોંચેલા આ પ્લેયરોએ પહેલાં પોતાની કોરોના-ટેસ્ટ કરાવી હતી જેમાં તેઓ પૉઝિટિવ જોવા મળ્યા હતા. સાયના નેહવાલે પણ આ લગ્નપ્રસંગમાં ભાગ લીધો હતો, પણ તેની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવી હતી. તાજેતરમાં કોરોના-પૉઝિટિવ થયેલા પ્લેયરોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ પહેલાં ઑગસ્ટ મહિનામાં એન. સિક્કિમ રેડ્ડી અને ફિઝિયોથેરપિસ્ટ કિરણ સી. કોરોના-પૉઝિટિવ થયા હતા.