મન્કી ગેટમાં મને લાગ્યું હતું કે હરભજન ખોટો હતો : કુંબલે
અનિલ કુંબલે
અનિલ કુંબલેનું કહેવું છે કે એ વિવાદ દરમ્યાન મને લાગ્યું હતું કે હરભજન સિંહે ભૂલ કરી હતી. હરભજન સિંહ અને ઍન્ડ્રુ સાયમન્ડ વચ્ચે ૨૦૦૮માં સિડની ટેસ્ટ દરમ્યાન બનેલો મન્કી ગેટ વિવાદ જગજાહેર છે. આ કિસ્સાને કારણે આજે પણ બન્ને પ્લેયર વચ્ચે અબોલા છે. આ મૅચ આમ પણ એક યાદગાર મૅચ બની રહી હતી, કેમ કે બન્ને ટીમ મળીને કુલ પાંચ પ્લેયર સેન્ચુરી મારવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમની કમાન એ વખતે અનિલ કુંબલેના હાથમાં હતી. એ ઘટનાને યાદ કરીને કુંબલેએ કહ્યું કે ‘એક કૅપ્ટન તરીકે તમારે ફીલ્ડ પર અનેક નિર્ણય લેવા પડતા હોય છે. જોકે મારે મેદાનની બહાર એક એવો નિર્ણય લેવાનો હતો જે ક્રિકેટજગતને અસર કરી શકે એમ હતો. અમારો એક પ્લેયર હરભજન સિંહને ત્રણ મૅચ માટે બૅન કરવામાં આવ્યો હતો. એ સમયે મને હરભજન ખોટો લાગ્યો હતો. એક ટીમ તરીકે તમારે હંમેશાં સાથે ચાલવાનું હોય છે. એ વખતે અમારી આસપાસ અનેક વાતો થતી હતી. અમે ટૂર અડધેથી છોડીને પાછા આવી રહેવા માગીએ છીએ એવી પણ વાતો ચાલી હતી. જો એવું કર્યું હોત તો લોકોને લાગ્યું હોત કે અમારી જ ભૂલ હતી છતાં એક ટીમ તરીકે અમે ત્યાં જીતવા ગયા હતા. કદાચ અમે એ ટેસ્ટ સિરીઝ જીતી શક્યા હોત અથવા તો ડ્રૉ કરાવી શક્યા હોત. હું ખુશ છું કે અમારી એ ટીમમાં સિનિયર પ્લેયર અને ભૂતપૂર્વ કૅપ્ટન પણ હતા, જેમણે ટીમને એ સમય દરમ્યાન ખૂબ સારી રીતે હૅન્ડલ કરી હતી.’