સચિન એક સારો કૅપ્ટન નહોતો એ વાત પર મને વિશ્વાસ નથી: મદન લાલ
મદન લાલ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મદનલાલનું કહેવું છે કે મને ભરોસો નથી બેસતો કે ક્રિકેટજગતનો દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર એક સારો કૅપ્ટન નહોતો. સચિને ૧૯૯૬થી ૨૦૦૦ દરમ્યાન ૭૩ વન-ડે અને ૨૫ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી જેમાંથી ભારત માત્ર ૨૩ વન-ડે જીત્યું હતું અને ૪ ટેસ્ટ મૅચ જીત્યું હતું. સચિનની કપ્તાની વિશે વાત કરતાં મદદ લાલે કહ્યું કે ‘હું તમારી સાથે એ વાત પર સહમત નથી કે સચિન એક સારો કૅપ્ટન નહોતો. તે માત્ર પોતાના પર્ફોર્મન્સને સુધારવામાં વ્યસ્ત હતો અને તેને એ સમયે ટીમને સાથે સંભાળવાની તકલીફ થઈ રહી હતી. એક કૅપ્ટન તરીકે તમારે માત્ર તમારો જ પર્ફોર્મન્સ નહીં, પણ તમારી ટીમના અન્ય ૧૦ પ્લેયરોના પર્ફોર્મન્સને પણ બેસ્ટ બનાવવાનું હોય છે. આ બધું મૅનેજ કરવું અઘરું છે. સચિનમાં સારી ક્વૉલિટી એ છે કે તે ગેમને વાંચી શકે છે અને સામેવાળા પ્લેયરને કહી શકે છે કે તે ક્યાં ખોટો છે અથવા તો તેણે કેવી રીતે બૉલ નાખવો જોઈએ. આ બધી વાતમાં તે સુપર્બ છે. ઘણી વાર એવું પણ બને છે કે પ્લેયર પોતાના વ્યક્તિગત વિકાસમાં એટલોબધો વ્યસ્ત હોય છે કે તેને બીજું બધું ધ્યાનમાં નથી રહેતું. એનો અર્થ એ નથી કે તે સારો કૅપ્ટન નથી. ખરું કહું તો અમારે દાદાને ઉપયોગમાં લેવો હતો અને મને નથી ખબર કે તેને યાદ છે કે નહીં, પણ મેં તેને કહ્યું હતું કે દાદા પાંચમા નંબરે બૅટિંગ કરવાથી કંઈ નહીં થાય. તું ડાયરેક્ટ જઈને ઓપન કર. દરેક પ્લેયરની પોતાની એક અલગ સ્ટાઇલ હોય છે. ગાંગુલી દરેક પ્રકારના સ્ટ્રોક મારી શકતો હતો. જોકે દરેક પ્લેયરને સેટલ થવામાં સમય લાગે છે, પછી તે વિરાટ કોહલી હોય કે અજિંક્ય રહાણે.’