અમે કોઈ ભારતીય પ્લેયરને ફૉરેન લીગમાં રમવા એનઓસી નહીં આપીએ : સીઓએ
યુવરાજ સિંહ
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ યુવરાજ સિંહને કૅનેડામાં ગ્લોબલ ટી૨૦ ટુર્નામેન્ટમાં રમવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો નિર્ણય ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો માટે નવી આશાની કિરણ લઈને આવ્યો હતો. એવા ભૂતપૂર્વ ક્રિકેટરો જે સિલેક્ટરોની સ્કીમમાં નહોતા તેઓ ફૉરેન લીગમાં રમવા માટે જલદી રિટાયર થઈ જતા હતા. જોકે કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશન (સીઓએ)એ ચોખવટ કરી હતી કે યુવરાજનો કેસ અપવાદ હતો, બીજા કોઈ ક્રિકેટરને એનઓસી નહીં મળે.
સીઓએના એક મેમ્બરે કન્ફર્મ કરતાં કહ્યું કે ‘યુવરાજના કેસમાં જે થયું એ અપવાદ હતો, પણ બીજા કોઈ ક્રિકેટરને હાલના સમયમાં ફૉરેન લીગમાં રમવા માટે એનઓસી નહીં મળે. અમે આ વિશે ચર્ચા કરી હતી અને એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે આ માટે કોઈ ઍક્શન લેવાની જરૂર નથી.’
આ નિર્ણયથી બીસીસીઆઇના અધિકારીઓને આશ્ચર્ય થયું હતું. તેઓ પણ વિચારે છે કે એક પ્લેયરને એનઓસી આપ્યા બાદ અપ્રોચમાં ફેરફાર ન થવો જોઈએ. આ યુ-ટર્નને કારણે ઘણા એવા ક્રિકેટરોને અન્યાય થશે જેઓ હવે સિલેક્ટરોની સ્કીમમાં નથી.