ભુવનેશ્વરને ટૉપ ગ્રેડ, યુવરાજ ને ગંભીરની હકાલપટ્ટી
કરીઅરના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે. યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરને ૨૦૧૪-’૧પની સીઝન માટે ક્રિકેટ બોર્ડના કૉન્ટ્રૅક્ટ ગ્રેડની તમામ શ્રેણીઓમાંથી બહાર મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે ક્રિકેટ બોર્ડ દ્વારા ૩૨ ખેલાડીઓનાં નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમને કૉન્ટ્રૅક્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા એ મુજબ એલીટ ગ્રુપમાં ગયા વર્ષના ચાર ક્રિકેટરોને યથાવત્ રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે એમાં સચિન તેન્ડુલકર પણ હતો જે હવે રિટાયર થઈ ચૂક્યો છે. તેની જગ્યા ઇંગ્લૅન્ડમાં સારું પ્રદર્શન કરનારા ભુવનેશ્વર કુમારે લીધી છે.
૨૦૧૩-’૧૪ દરમ્યાન ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહને Aને બદલે B ગ્રુપમાં નાખવામાં આવ્યા હતા. એ જ વર્ષે ક્રિકેટ બોર્ડે વીરેન્દર સેહવાગ, ઝહીર ખાન અને હરભજન સિંહને લિસ્ટમાંથી બહાર કાઢ્યા હતા.
સીઝન ૨૦૧૪-’૧૫ માટે ક્રિકેટ બોર્ડના કૉન્ટ્રૅક્ટ
ગ્રેડ-A : મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, રવિચંદ્રન અશ્વિન અને ભુવનેશ્વર કુમાર
ગ્રેડ- B : પ્રજ્ઞાન ઓઝા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, ઇશાન્ત શર્મા, શિખર ધવન, ઉમેશ યાદવ, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, અંબાતી રાયુડુ અને મોહમ્મદ શમી
ગ્રેડ-C : અમિત મિશ્રા, વરુણ ઍરોન, વૃદ્ધિમાન સહા, સ્ટુઅર્ટ બિન્ની, પંકજ સિંહ, વિનય કુમાર, મોહિત શર્મા, ધવલ કુલકર્ણી, પરવેઝ રસૂલ, અક્ષર પટેલ, મનોજ તિવારી, રૉબિન ઉથપ્પા, કર્ણ શર્મા, સંજુ સૅમસન, કુલદીપ યાદવ અને કે. એલ. રાહુલનો સમાવેશ છે.