ભુવનેશ્વરની ઈજાએ જગાવ્યો વિવાદ એનસીએમાં નહીં જાય બુમરાહ અને હાર્દિક
ભુવનેશ્વર કુમારને હર્નિયા ડાયગ્નોસ થતાં તે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી આઉટ થયો છે. તેને નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી પાસેથી ક્લીન ચિટ મળી હતી, પણ તેને થયેલી આ ઈજાએ એનસીએના એક્સપર્ટ્સની યોગ્યતા પર સવાલ ઊભા કરી દીધા છે. વળી જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પણ રીહૅબિલિટેશન માટે એનસીએ જવાની ના પાડી દીધી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે રીહૅબિલિટેશન માટે એનસીએ જવાની ના પાડી દીધી છે. આ કૉન્ટ્રૅક્ટેડ પ્લેયરો હોવાને લીધે તેમને એનસીએમાં હોવું જોઈતું હતું, પણ જોખમ હોવાને લીધે પ્લેયરો ઈજાને લઈને ગંભીર છે. જોકે કેટલાક સમય પછી પ્લેયરોને પોતાના હિતમાં નિર્ણય લેવાની પરવાનગી આપવામાં આવે છે.
ભુવનેશ્વરના કેસમાં વર્લ્ડ કપ પછી તે અનેક વાર એનસીએમાં આવ-જા કરતો રહ્યો છે, પણ સંપૂર્ણપણે ફિટ નથી થઈ શક્યો. વેસ્ટ ઇન્ડીઝ સામે બે મૅચ રમ્યા બાદ તે ફરી ઈજા પામ્યો હતો. અધિકારીઓના મતે ભુવનેશ્વર ત્રણ મહિના એનસીએમાં હતો જ્યાં તેની વિવિધ ટેસ્ટ કરવામાં આવી હતી, પણ તેના હર્નિયાનો ઇલાજ થયો નહોતો. મુંબઈ આવતાં તેની ફરી તપાસ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ધવન બાદ ભુવનેશ્વર પણ ટીમમાંથી આઉટ
ચેન્નઈ : (આઇ.એ.એન.એસ.) આજથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓપનર શિખર ધવન ઈજાને કારણે ટીમમાંથી બહાર થયા બાદ હવે ભુવનેશ્વર કુમારને પણ ટીમમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. તેના સ્થાને ટીમમાં શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે જણાવ્યા પ્રમાણે ભુવનેશ્વરનું અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કરવામાં આવ્યું હતું અને તેનામાં હર્નિયાનાં લક્ષણ જોવા મંળ્યાં હતાં. આ વિશે નિષ્ણાતોની સલાહ લીધા બાદ ટીમ-મૅનેજમેન્ટ આગળ વધશે. નોંધનીય છે કે ગયા વર્ષે એશિયા કપ દરમ્યાન શાર્દુલે ભુવનેશ્વરને રિપ્લેસ કર્યો હતો.