અમારે ભારત સામે શક્ય એટલું પૉઝિટિવ રહેવું છે : માર્ટિન ગપ્ટિલ
માર્ટિન ગપ્ટિલ
ઇન્ડિયા સામેની પહેલી વન-ડેમાં ૩૨ રન બનાવીને આઉટ થયેલા ન્યુ ઝીલૅન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલનું કહેવું છે કે ભારત સામેની બાકી રહેલી બે વન-ડેમાં શક્ય એટલું પૉઝિટિવ રહીને રમવું છે. આ વિશે વધુ વાત કરતાં ગપ્ટિલે કહ્યું હતું કે ‘અમારે શક્ય એટલું પૉઝિટિવ રહેવું છે. એક વાર અમે મેદાનમાં ઊતરીશું પછી અમને ખબર પડશે કે અમે કેવું પર્ફોર્મ કરી શકીશું. જો ટીમ બે વિકેટ જલદી પણ ગુમાવી દેશે તો પણ મારું કામ ટીમને સારું સ્ટાર્ટ આપવાનો છે.’
ન્યુ ઝીલૅન્ડની પિચ પર બૉલ વધારે સ્પિન નથી થતો અને એ વાતનો ફાયદો ન્યુ ઝીલૅન્ડ ઉપાડશે. આ મુદ્દે પોતાના વિચાર જણાવતાં માર્ટિને કહ્યું કે ‘એ અલગ જ પરિસ્થિતિ છે. બૉલ વધારે સ્પિન નથી થતો એટલે તમે વધારે અટૅક કરી શકો છો. પહેલી મૅચમાં અમે જે પ્રમાણે સ્પિનરોને રમ્યા હતા એ જોઈને પૉઝિટિવ કૉન્ફિડન્સ લાવી શકાય છે. સમયની સાથે તમે બુમરાહને હૅન્ડલ કરી શકો છો. બુમરાહની ઍક્શન ખરેખર યુનિક છે. અમે પહેલી વન-ડેમાં તેની સામે સારું પર્ફોર્મ કરી શક્યા હતા અને તેને જલદીથી વિકેટ લેતો અટકાવ્યો હતો. જોકે એમ છતાં ભારતને હલકામાં ન લઈ શકાય, કેમ કે તેની પાસે વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ છે.’