ઑસ્ટ્રેલિયન ટીમે ડ્રૉપ કરેલા કૅચ સંદર્ભે અસિસ્ટન્ટ કોચની સ્પષ્ટ વાત
ઍન્ડ્રુ મક્ડોનાલ્ડ
ભારત સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાની નબળી ફીલ્ડિંગને લીધે શુભમન ગિલ, રિષભ પંત અને કૅપ્ટન અજિંક્ય રહાણેને જીવનદાન મળ્યાં હતાં. સ્વાભાવિક છે કે ટીમ ઑસ્ટ્રેલિયા પોતાના એ નબળા પ્રદર્શનથી ખુશ નહીં હોય. ઑસ્ટ્રેલિયાના અસિસ્ટન્ટ હેડ કોચ ઍન્ડ્રુ મક્ડોનાલ્ડનું કહેવું છે કે કૅચ છોડવાના સંદર્ભે પ્લેયરોનો બચાવ કરવા કોઈ પણ બહાનું ચાલે એમ નથી.
ઍન્ડ્રુ મૅક્ડોનાલ્ડનું કહેવું છે કે ‘ફીલ્ડિંગમાંની ખામીઓ વિશે કંઈ સ્પષ્ટતા કરી શકાય એમ નથી. પિન્ક બૉલ ટેસ્ટમાં ભારતને પણ આવી સમસ્યા નડી હતી. કેટલાક કૅચ છૂટ્યા હતા. ખબર નહીં પ્લેયરોના મગજમાં એ વખતે શું ચાલી રહ્યું હતું. અમારી તૈયારી સારી થઈ હતી અને એકાગ્રતાની પણ કોઈ કમી નહોતી. ઘણા બધા ક્રિકેટરો શીલ્ડ ક્રિકેટ અને એ મૅચ રમ્યા છે માટે અહીં કોઈ બહાનું ચાલે એમ નથી. એ સમયે બરાબર અમલ કરી બતાવવો જરૂરી હતો. ત્રીજી ટેસ્ટ મૅચ માટેની અમારી તૈયારી સારી છે અને ફીલ્ડિંગની તૈયારી પણ સારી ચાલી રહી છે.’