વિહારી કહે છે, અશ્વિનના માર્ગદર્શનને લીધે અમે મૅચ ડ્રૉ કરાવી શક્યા
અશ્વિને ૧૨૮ બૉલમાં ૩૯ અને વિહારીએ ૧૬૧ બૉલમાં ૨૩ રન બનાવીને કાંગારૂઓને પરેશાન કરી દીધા હતા
સિડનીમાં ભારત માટે હનુમા વિહારી અને રવીચન્દ્રન અશ્વિનની જોડી સંકટમોચન બનીને આવી હતી અને ટીમને હારમાંથી ઉગારીને જીત સમાન ડ્રૉ કરાવવામાં મુખ્ય રોલ ભજવ્યો હતો. બન્ને ઇન્જર્ડ હોવા છતાં કમાલની લડત આપી હતી. વિહારી હવે ઇન્જરીને લીધે આવતી કાલે નથી રમવાનો. વિહારીએ આ યાદગાર લડત માટે અશ્વિનને શ્રેય આપ્યો હતો.
વિહારીએ કહ્યું હતું કે ‘પાંચમા દિવસે આખરી સેશનમાં બૅટિંગ કરવાનો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. આ કંઈક એવું હતું કે જે આપણે સપનામાં જોતા હોઈએ છીએ. હું ખૂબ ખુશ છું. આ સંકટના સમયે અશ્વિને મને મોટા ભાઈની જેમ માર્ગદર્શન આપ્યું હતું. બૅટિંગ વખતે હું ઘણું બધુ વિચારી રહ્યો હતો ત્યારે મને તેણે કહ્યું હતું અત્યારે તું ફક્ત બૉલ પર જ ધ્યાન દે.’
અશ્વિને ૧૨૮ બૉલમાં ૩૯ અને વિહારીએ ૧૬૧ બૉલમાં ૨૩ રન બનાવીને કાંગારૂઓને પરેશાન કરી દીધા હતા.