આવી રોચક પિચ વિશે ફરિયાદ કરવી અર્થહીન : શાસ્ત્રી
રવિ શાસ્ત્રી
અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી છેલ્લી બે ટેસ્ટ અનુક્રમે બે અને ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મૅચ બાદ તો આ સ્ટેડિયમની પિચ માટે ઘણી ટીકા-ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. તેમ છતાં, અંતિમ ટેસ્ટ મૅચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પિચનાં વખાણ કરતાં એને રસપ્રદ અને રોચક કહી હતી.
મૅચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘હું આ જીત મેદાનના માળીઓ અને કર્મચારીઓને સમર્પિત કરું છું. મને લાગે છે કે આશિષ ભૌમિક એક સારો મેદાન-કર્મચારી છે અને તે પોતાનું કામ જાણે છે. તે મૅચ-ક્યુરેટર દલજિત સિંહ સાથે કામ કરી ચૂક્યો છે. આ પ્રકારની રોચક પિચની ફરિયાદ કોણ કરશે? બન્ને ટીમે અહીં સારું એવું મનોરંજન પૂરું પાડ્યું. ૩-૧ના પરિણામથી ખબર ન પડે કે આ સિરીઝ કેટલી ક્લૉઝ હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં અવ્વલ સ્થાને પહોંચવા અમે અઢી વર્ષથી મહેનત કરી રહ્યા છીએ અને એ પહેલાંનાં છ વર્ષની મહેનત પણ અમને કામ લાગી હતી. અમારા પ્લેયર્સ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને લઈને વધારે ચિંતામાં નહોતા એટલે એક વારમાં એક જ સિરીઝ પર ધ્યાન આપતા હતા.’