વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને તેમની મુશ્કેલી વધારવી જોઈએ: ગાવસકર
સુનીલ ગાવસકર
ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘ભારતે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝમાં ન રમવાની નીતિ જાળવી રાખવી જોઈએ. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરશે તો પાકિસ્તાનને બાઈના બે પૉઇન્ટ્સ મળી જશે. એના કરતાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટમાં તેમની મુશ્કેલીઓ વધારવી જોઈએ. પાકિસ્તાનને હરાવીને ભારત સુનિશ્ચિત કરી શકે છે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં આગળ ન વધે. હું દેશ અને સરકારની સાથે છું અને સરકાર જે નિર્ણય લેશે એને સહર્ષ સ્વીકારીશ. વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ન રમવા દેવાની ભારતના બોર્ડે અપીલ કરી છે જે લગભગ માન્ય રાખવામાં નહીં આવે, કારણ કે એમાં બીજા દેશો સહમતી નહીં આપે. એક ઍવરેજ ક્રિકેટર તરીકે હું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને અપીલ કરવા માગું છું કે તે સુધારા માટે જરૂરી ‘પહેલો કદમ’ આગળ વધારે. પાકિસ્તાને ધ્યાન રાખવું જોઈએ કે બૉર્ડર પર ઘૂસણખોરી ન થાય. જે લોકો પાકિસ્તાનમાં બેસીને ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમને ભારતને અથવા સંયુક્ત રાષ્ટ્રસંઘને સોંપવામાં આવે.’