નવી દિલ્હી : આવતા વર્ષે લંડનમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સની સ્પૉન્સર કંપની ડાઉ કેમિકલ સામેના વિરોધમાં કેટલાક ભારતીય ઍથ્લીટોએ આ રમતોત્સવનો બહિષ્કાર કરવાની જે ધમકી આપી છે એ સંદર્ભમાં આવતી કાલે દિલ્હીમાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ) દ્વારા મીટિંગ રાખવામાં આવી છે જેમાં ભારતીય ઍથ્લેટિક્સના ટોચના અધિકારીઓ અને અમુક ઍથ્લીટો ઉપસ્થિત રહેશે.
આઇઓએના અધિકારીઓએ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ને ખાતરી આપી છે કે ભારત આ ઑલિમ્પિક્સનો બહિષ્કાર કોઈ પણ સંજોગોમાં નહીં કરે.
૧૯૮૪ના ભોપાલ ગેસદુર્ઘટનામાં ૨૫,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧,૦૦,૦૦૦ લોકો એ હોનારત વખતે થયેલી ગેસની વિપરીત અસરને કારણે કૅન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાય છે. ભોપાલની દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ કંપનીને ડાઉ કેમિકલે ગયા વર્ષે ખરીદી લીધી હતી અને લંડન ઑલિમ્પિક્સના આયોજકોએ આ કંપનીને ઑલિમ્પિક સ્ટેડિયમના ડેકોરેશનને લગતો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે.
આઇઓસીના પ્રમુખ જૅક રૉગે મંગળવારે ભારતને આઇઓએને ઍથ્લીટો સાથે વાટાઘાટ કરવાનું કહીને એવું પણ જણાવ્યું હતું કે ‘ભોપાલ ગેસદુર્ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય પ્રજામાં હજી પણ જે આઘાત છે એ અમે બરાબર સમજીએ છીએ, પરંતુ અમારે સ્પષ્ટ કરવું છે કે એ હોનારતના સંબંધમાં ડાઉ કેમિકલ કંપની કોઈ પણ રીતે સંકળાયેલી નથી એટલે એની સ્પૉન્સરશિપ સામે વિરોધ ન થવો જોઈએ. અમે ખેલકૂદ અને ઍથ્લીટોના હિતોનું બરાબર રક્ષણ કરીશું.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK