કોરોના દરમ્યાન બ્રિટનમાં ટ્રેઇનિંગનો નિર્ણય ઉત્તમ: સિંધુ
પી. વી. સિંધુ
કોરોનાને લીધે ખેલજગતને બ્રેક લાગી ગઈ હતી અને ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ છેલ્લા ૯ મહિનાથી એક પણ ટુર્નામેન્ટ રમી નથી. હવે તે થાઇલૅન્ડમાં ૧૨થી ૧૭ અને ૧૯થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન બે ટુર્નામેન્ટમાં ભાગ લઈને કમબૅક કરી રહી છે. આ બાબતે સિંધુ કહે છે કે આટલા લાંબા ગાળા બાદ કમબૅક કરતી વખતે સૌકોઈએ ધૈર્ય રાખવાની જરૂર છે. જોકે સિંધુએ ઑક્ટોબરમાં બ્રિટન જઈને ટ્રેઇનિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને તે આ નિર્ણય ઉત્તમ ગણાવતાં કહે છે કે ‘બ્રિટન જવાનો મારો નિર્ણય પુરવાર થઈ રહ્યો છે ખાસ કરીને જ્યારે કોવિડ-૧૯ને કારણે ભારતમાં બધું ઠપ થઈ ગયું છે ત્યારે. બ્રિટનમાં મોસમ ખૂબ ઠંડો છે, પણ હું ટ્રેઇનિંગ સેશનની મજા માણી રહી છું. હવે બ્રેક બાદ પહેલી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છું. હા, આ કમબૅક વખતે દરેકની માનસિકતા મહત્ત્વનો ભાગ ભજવશે. આટલા લાંબા સમય બાદ દરેકે ધૈર્ય રાખવાની જરૂર છે. ૨૦૨૧માં હું બેસ્ટ પર્ફોર્મ કરવા તૈયાર છું, કેમ કે આ લિમ્પિક વર્ષ છે. આશા રાખું છું કે આ વર્ષ મારું સારું જાય અને થાઇલૅન્ડ ઓપન સાથે જીતની શરૂઆત કરું.’