ગિલ અને સુંદરને બદલે ટેસ્ટ-સિરીઝમાં રમવાની મળશે તક
પૃથ્વી અને સૂર્યકુમારને મળી ઇંગ્લૅન્ડના પ્રવાસની ટિકિટ
ચોથી ઑગસ્ટથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ અને વૉશિંગ્ટન સુંદરની જગ્યાએ ઓપનર પૃથ્વી શૉ અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવશે. બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરન જે પહેલાં સ્ટૅન્ડબાય તરીકે હતો તેનો મેઇન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ડાબા હાથનો અંગૂઠો ફ્રૅક્ચર થતાં અવેશ ખાનને ભારત પાછો મોકલવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે મીડિયા રિલીઝમાં કહ્યું કે સિલેક્શન કમિટીએ પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવની પસંદગી કરી છે. વૉશિંગ્ટન સુંદરના જમણા હાથમાં ઇંજેક્શન આપવામાં આવ્યું છે. તેને સાજો થવામાં વાર લાગશે. વળી તે બોલિંગ કરી શકે એમ ન હોવાથી તેની આ સિરીઝમાંથી બાદબાકી કરવામાં આવી છે.
વન-ડે સિરીઝમાં શાનદાર બૅટિંગ-પ્રદર્શનને કારણે સૂર્યકુમારની મૅન ઑફ ધ સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વળી રવિવારે રમાયેલી પહેલી ટી૨૦માં પણ તેણે શાનદાર હાફ સેન્ચુરી કરી હતી. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે આગામી ટેસ્ટ સિરીઝ માટે તૈયારી શરૂ કરી દીધી છે.