વર્ષ 1950માં ભારતીય ટીમ સાથે ચરણજીત જોડાયા હતા
તસવીર/એએનઆઈ
પદ્મશ્રી એવોર્ડ અને હોકી ઓલિમ્પિક વિજેતા કેપ્ટન ચરણજીત સિંહનું આજે ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉનામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને ગોલ્ડ મેડલ અપાવનાર હોકી લિજેન્ડ ચરણજીત સિંહ ઘણા સમયથી બીમાર હતા.
તેમના પરિવારના જણાવ્યા અનુસાર, લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમના શરીરનો એક ભાગ પેરાલિસિસનો શિકાર બન્યો હતો. ત્યારથી, તે અસ્વસ્થ હતા અને ઘરે વ્હીલચેર પર હતા.
ADVERTISEMENT
શાળાના અભ્યાસ દરમિયાન હોકી રમવાનું શરૂ કર્યું
તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1931ના રોજ થયો હતો. તેમણે પંજાબના ગુરદાસપુર અને લાયલપુરથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ચરણજીતે શાળામાં અભ્યાસ દરમિયાન જ હોકી રમવાની શરૂઆત કરી હતી. આ પછી તેમણે લુધિયાણાથી કૃષિમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
1950માં ભારતીય ટીમ સાથે જોડાયા ચરણજીત
વર્ષ 1949માં ચરણજીત પંજાબ યુનિવર્સિટીની હોકી ટીમમાં જોડાય હતા. તેમનું પ્રદર્શન જોઈને તેમને યુનિવર્સિટીની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ધીરેધીરે ચરણજીતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઊભરી આવ્યું અને વર્ષ 1950માં તેમની ભારતીય હોકી ટીમમાં પસંદગી થઈ હતી. 1951માં ચરણજીત ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે પણ ગયો હતો.
તેમણે 1960 રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ટીમના મુખ્ય સભ્ય તરીકે તેમની ભૂમિકા ભજવી હતી અને તેમની કપ્તાની હેઠળ ટોક્યો ઓલિમ્પિકમાં હોકી ટીમને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. આ સિવાય ચરણજીત સિંહે એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમનું બે વખત સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું. હોકીમાં યોગદાન બદલ ચરણજીત સિંહને પદ્મશ્રી અને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ચરણજીતને રાજ્યકક્ષાના અને અન્ય સન્માનો પણ મળ્યા હતા. તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી, શિમલાના શારીરિક શિક્ષણ વિભાગના નિયામકનું પદ પણ સંભાળ્યું હતું.