બુમરાહ અને હર્ષલને કાઢી શકાય એમ નથી
ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના ૧૫ ખેલાડીઓનાં નામની ઘોષણા થઈ ગઈ છે, જેમાં ભલે મોહમ્મદ શમી સહિત ચાર ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા હોય, પરંતુ ટીમમાં હજી પણ ફેરબદલની શક્યતા છે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ રમશે, જેમાં શમીને તક મળી છે. સિલેક્શન કમિટીના સભ્યના જણાવ્યા પ્રમાણે જો તે આ સિરીઝમાં સારું પ્રદર્શન કરે તો તેને ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ કરી શકાય છે. આઇસીસીના નિયમ મુજબ ટુર્નામેન્ટ શરૂ થવાના એક સપ્તાહ પહેલાં પણ તમામ ટીમ પોતાના મેઇન ટીમના રિઝર્વ ખેલાડીઓ સાથે રિપ્લેસ કરી શકે છે.
બુમરાહ અને હર્ષલને કાઢી શકાય એમ નથી. એ જોતાં ભુવનેશ્વર કુમાર પર તલવાર લટકેલી છે. સિલેક્શન સમિતિની બેઠક દરમ્યાન શમી અથવા અશ્વિન પૈકી કોઈ એકને લઈને ચર્ચાઓ થઈ હતી. કોચ દ્રવિડ અને કૅપ્ટન રોહિતે અશ્વિનની ડિમાન્ડ કરી હતી. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમ્યાન પણ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો પણ શમીને તક મળી શકે છે.