રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીના ટી૨૦ બૅટિંગ પ્રત્યેના અપ્રોચ વિશે થોડા સમયથી ટીકા-ટિપ્પણ થઈ રહી છે
અમે રોહિત, રાહુલ, વિરાટની ક્ષમતાથી બરાબર વાકેફ છીએ : દ્રવિડ
રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીના ટી૨૦ બૅટિંગ પ્રત્યેના અપ્રોચ વિશે થોડા સમયથી ટીકા-ટિપ્પણ થઈ રહી છે એને ધ્યાનમાં લઈને હેડ-કોચ રાહુલ દ્રવિડે ગઈ કાલે પી.ટી.આઇ.ને મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમે આ ત્રણેય ટોચના બૅટર્સની બૅટિંગને લગતી ગુણવત્તા તથા ક્ષમતાથી સારી રીતે વાકેફ છીએ અને આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં તેમને આ ફૉર્મેટમાં ચમકવા માટે સારીએવી તક આપીશું.’
રાહુલ આવતી કાલે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ટી૨૦ સિરીઝમાં ભારતીય ટીમનો કૅપ્ટન છે, જ્યારે રોહિત અને વિરાટને સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
૧૯૮૩ના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે સોમવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કોહલી, રોહિત, રાહુલે ટી૨૦ પ્રત્યેનો અપ્રોચ બદલવાની જરૂર છે. આ ત્રણ દિગ્ગજો ટીમને જ્યારે રનની જરૂર હોય ત્યારે વિકેટ ગુમાવી બેસે છે.’
દ્રવિડે કહ્યું કે ‘અમે અમારા ટોચના બૅટર્સના અપ્રોચથી સારી રીતે વાકેફ છીએ. જો હાઇ-સ્કોરિંગ મૅચ હોય તો અમે આ બૅટર્સના ઊંચા સ્ટ્રાઇક-રેટની અપેક્ષા રાખીએ, પરંતુ જો પિચ પડકારરૂપ હોય તો તેમણે એ મુજબ રમવું પડે. ટી૨૦માં દરેક ખેલાડીએ પૉઝિટિવ અભિગમ રાખીને રમવું પડતું હોય છે અને આ ત્રણેય પ્લેયર્સ એવું જ કરતા હોય છે. અમે દરેક સિરીઝ અને મૅચ પહેલાં તેમને તેમના રોલ વિશેની પૂરી સમજ આપી દેતા હોઈએ છીએ.’