જેહાદી ટિપ્પણીના બ્લન્ડર બદલ ટ્રોલ થયો : વેન્કટેશે કહ્યું, ‘કેવો બેશરમ માણસ છે’
વકાર યુનુસે હિન્દુઓ વિશેની કમેન્ટ બાદ માફી માગવી પડી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોની જેમ સચોટ, જડબાતોડ અને સજ્જડ કમેન્ટ કરવાનું પાકિસ્તાની ખેલાડીઓને જરાય ફાવે નહીં અને એટલે જ તેઓ વિચિત્ર કમેન્ટ બદલ ટ્રોલ થતા હોય છે તો ક્યારેક માફી પણ માગી લેવી પડતી હોય છે. ગઈ કાલે એવું જ બન્યું. પાકિસ્તાની ક્રિકેટમાં લેજન્ડ મનાતા ફાસ્ટ બોલર વકાર યુનુસે રવિવારની ભારત સામેની મૅચ પછી જે ટિપ્પણી કરી હતી એ બદલ માફી માગવી પડી છે.
રવિવારે પાકિસ્તાન પહેલી વાર ભારત સામે વર્લ્ડ કપમાં જીત્યું અને એ પણ ૧૦ વિકેટના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો એટલે અતિઉત્સાહમાં આવી ગયેલા વકારે ટીમનાં ખૂબ વખાણ કરવાની સાથે અણનમ ૭૯ રન બનાવનાર ઓપનર મોહમ્મદ રિઝવાને મૅચમાં એક બ્રેક દરમ્યાન મેદાન પર નમાઝ પઢી લીધી હતી. વકારે એક સ્પોર્ટ્સ ચૅનલને ટીવી શોમાં આ વિશે કહ્યું, ‘રિઝવાનને હિન્દુઓં કે બીચ મેં ખડે હો કે નમાઝ પઢી.’ વકારે એવું પણ કહ્યું હતું કે ‘મને રિઝવાનની આ વાત ખૂબ જ ગમી ગઈ.’
આ કમેન્ટ બદલ વકારની ભારત અને પાકિસ્તાન, બન્ને દેશમાં ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ પેસબોલર વેન્કટેશ પ્રસાદે ટ્વિટર પર પ્રતિક્રિયામાં જણાવ્યું, ‘આ રમત છે. આમાં આવી જેહાદી માનસિકતા જરાય ન ચાલે. કેવો બેશરમ માણસ છે.’
ક્રિકેટ-નિષ્ણાત હર્ષા ભોગલેએ પણ વકારને ખૂબ વખોડ્યો હતો. વકારે પોતાનાથી બ્લન્ડર થઈ ગયું હોવાનું લાગતાં જાહેરમાં કહ્યું, ‘હું ક્યારેય કોઈ ધાર્મિક બાબતમાં કમેન્ટ નથી કરતો. મારાથી આવું કેમ બોલાઈ ગયું એ જ નથી સમજાતું. પાકિસ્તાનમાં, ભારતમાં કે વિશ્વમાં ક્યાંય પણ વસતા હિન્દુઓની સંવેદનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. આનંદના આવેશમાં બોલાઈ ગયું અને એ બદલ હું માફી માગું છું.’