ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ૧૪૬ રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવનાર બૅટર રિષભ પંતે કહ્યું હતું કે ‘તેણે બોલરોને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો
બોલરોને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો : પંત
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ૧૪૬ રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવનાર બૅટર રિષભ પંતે કહ્યું હતું કે ‘તેણે બોલરોને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં સૌથી મહત્ત્વનું છે બોલરોની લયને બગાડવી, એવું મારું માનવું છે.’ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સ અને પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને પંત સામે શૉર્ટ પિચ બોલિંગ કરી હતી, પરંતુ તે સહજતાથી રમતો રહ્યો. પંતે કહ્યું હતું કે ‘મેં એકસરખા શૉટ્સ નહોતા ફટકાર્યા, પરંતુ વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો. મેં ક્રિઝનો ભરપૂર ઉપયોગ કર્યો. બોલરો પર માનસિક દબાણ લાવવાની વાત હતી. કંઈ અગાઉથી વિચાર નહોતો કર્યો. સારા બૉલનું સન્માન કર્યું અને ડિફેન્સને પણ મજબૂત રાખ્યું હતું. મારા કોચ તારક સિંહા સરે મને વર્ષો પહેલાં કહ્યું હતું કે તું કોઈ પણ બોલર સામે આક્રમક રમત રમી શકે છે, પરંતુ ડિફેન્સ પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે.’