જાડેજાને રનઆઉટ આપ્યાનો નિર્ણય સાચો હતો અને એ મહત્ત્વનું પણ છે : પોલાર્ડ
(આઇ.એ.એન.એસ.) ઇન્ડિયા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વન-ડેમાં રવીન્દ્ર જાડેજા રનઆઉટ થતાં વિરાટ કોહલી ભડકી ઊઠ્યો હતો. જાડેજાને આઉટ આપવામાં થયેલા વિલંબને લીધે કોહલીએ નારાજગી વ્યક્ત કરી હતી અને અમ્પાયર સાથે વાત પણ કરી હતી. જોકે આ વિવાદમાં હવે વિન્ડીઝ કૅપ્ટન કીરોન પોલાર્ડે કહ્યું છે કે જાડેજાને રનઆઉટ આપવાનો અમ્પાયરનો નિર્ણય યોગ્ય હતો. આ વિશે પોલાર્ડે કહ્યું હતું કે છેવટે સાચો નિર્ણય લેવાયો અને મારા માટે એ જ અગત્યનું હતું.
ભારતની ઇનિંગ દરમ્યાન બૅટિંગ કરી રહેલો રવીન્દ્ર જાડેજા મૅચની ૪૮મી ઓવરમાં રન લેવા ગયો ત્યારે વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરે નૉન-સ્ટ્રાઇકર ઝોન પર થ્રો કર્યો અને બૉલ સીધો સ્ટમ્પ્સને વાગ્યો હતો. જોકે અમ્પાયર શૉન જ્યૉર્જે પહેલાં જાડેજાને આઉટ નહોતો આપ્યો, પણ કૅપ્ટન કીરોન પોલાર્ડે લીધેલા રિવ્યુને કારણે થર્ડ અમ્પાયરે જાડેજાને આઉટ આપ્યો હતો જેને લીધે કોહલી ડ્રેસિંગરૂમમાં ગુસ્સે ભરાયો હતો.
આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...
ગુસ્સે થયેલા કોહલીએ કહ્યું હતું કે ‘જો આવું ન થયું હોત તો અમને ૧૫-૨૦ રન વધારે મળ્યા હોત. ફીલ્ડરોએ અમ્પાયરને રનઆઉટ વિશે પૂછ્યું અને અમ્પાયરે ના પાડી. વાત ત્યાં જ પતી જાય છે. બહાર બેસેલા લોકો ફીલ્ડરને કંઈ કહી ન શકે અને એ લોકો અમ્પાયરને રનઆઉટનો રિવ્યુ કરવાનું પણ ન કહી શકે. મેં આવું ક્રિકેટમાં ક્યારેય નથી જોયું. મને નથી ખબર નિયમ શું છે. આમાં રેફરી અને અમ્પાયરે જ વચ્ચે પડવાનું હોય છે. ફીલ્ડની બહાર બેસેલા લોકો ફીલ્ડમાં શું થઈ રહ્યું છે એ ડિક્ટેટ ન કરી શકે, પણ અહીં આવું જ થયું હતું.’