અભિનેત્રીએ ખોટા દાવા કર્યા એટલે રક્ષાબંધનના દિવસે વિકેટકીપરે ધારદાર લખીને સ્ટોરી ડિલીટ કરી
ઉર્વશી રાઉતેલા, રિષભ પંત
દાયકાઓથી ભારતમાં ક્રિકેટ અને બૉલીવુડ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. ઘણા ખેલાડીઓ અભિનેત્રીને પરણ્યા છે, પરંતુ જ્યારે કોઈ ઍક્ટ્રેસ પબ્લિસિટી સ્ટન્ટમાં કોઈ પ્લેયર વિશે ઉપજાવી કાઢેલા અને બનાવટી દાવા કરે તો એ ચલાવી જ ન લે. ભારતના વિકેટકીપર-બૅટર રિષભ પંતના કિસ્સામાં આવું જ બન્યું. ઍક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અને પંત ઘણી વાર સાથે ન્યુઝમાં ચમક્યાં છે. બન્નેએ ઑફિશ્યલી કોઈ જાહેરાત નથી કરી, પણ બન્નેનાં નામ ફરી એક વાર છાપે ચડ્યાં છે.
ઉર્વશીનો તાજેતરનો એક ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે જેમાં તેણે ‘મિસ્ટર RP’ એવો ઉલ્લેખ કર્યો એટલે રિષભ પંતના ચાહકો એ શૉર્ટ ફૉર્મને પંતના નામ સાથે જોડી રહ્યા છે. જોકે ઉર્વશીનો દાવો પણ કંઈક વિચિત્ર છે. તેણે મુલાકાતમાં કહ્યું, ‘જ્યારે હું વારાણસીમાં શૂટિંગ માટે ગઈ હતી ત્યારે ‘મિસ્ટર RP’ મને મળવા આવ્યો હતો. તે લૉબીમાં મારી રાહ જોતો રહ્યો, પણ હું તો સૂઈ ગઈ હતી, તેને મળી ન શકી. પછીથી મેં મોબાઇલમાં જોયું કે એમાં ૧૭ મિસ્ડ-કૉલ હતા. મેં કૉલબૅકમાં કહ્યું કે તું મુંબઈ આવીશ ત્યારે તને જરૂર મળીશ. પછીથી અમે મુંબઈમાં મળ્યાં પણ ખરાં, પરંતુ ત્યાં સુધી તો મીડિયામાં કંઈકેટલીયે વાતો થઈ ચૂકી હતી.’
ADVERTISEMENT
રિષભ પંતના ફૅન્સના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ પર પંતે સ્ટોરીમાં જણાવેલું, ‘કેટલાક લોકો મજા માટે જુઠ્ઠું બોલતા હોય છે જેથી તે ન્યુઝમાં ચમકતા રહે. ફેમ માટે લોકો કેટલા બધા ભૂખ્યા છે એ જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું છે.’ આવું લખ્યા પછી રિષભ પંતે ઉમેર્યું, ‘મેરા પીછા છોડો, બહન. જૂઠ કી ભી કોઈ સીમા હોતી હૈ.’ જોકે પંતે પછીથી ઇન્સ્ટાગ્રામ પરની આ સ્ટોરી ડિલીટ કરી નાખી હતી.