નૅશનલ ટીમમાંથી બહાર ફેંકાયા બાદ રણજી ટ્રોફી મૅચમાં ઝીરોમાં થયો આઉટ, મુંબઈએ સૌરાષ્ટ્રને આપ્યું ફૉલો-ઑન
ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પુજારાની સમસ્યાનો અંત જ નથી આવતો. ખરાબ ફૉર્મને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટેની નૅશનલ ટીમમાંથી બહાર થયેલા આ બૅટર મુંબઈ સામેની રણજી ટ્રોફી મૅચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. અમદાવાદમાં મુંબઈ સામે રમાઈ રહેલી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમને ફૉલો-ઑન મળ્યુ હતું. મુંબઈએ સરફરાઝ ખાનના ૨૭૫ રનની મદદથી ૭ વિકેટે ૫૪૪ રન કરી દાવ ડિક્લેર કર્યો હતો. ત્યાર બાદ મુંબઈએ સૌરાષ્ટ્રને માત્ર ૨૨૦ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. મુંબઈ માટે ચાર વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહિત અવસ્થીએ પુજારાને ઝીરોમાં એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. . જોકે ફૉલો-ઑન મળ્યા બાદ સૌરાષ્ટ્રએ બીજી ઇનિંગ્સમાં વિનાવિકેટે ૧૦૫ રન બનાવ્યા છે. મુંબઈ આ મૅચમાં વિજય મેળવીને બોનસ પૉઇન્ટ લેવા માગશે. સૌરાષ્ટ્રને હજી એક ઇનિંગ્સની હારથી બચવા માટે ૨૨૦ રનની જરૂર છે.