અમદાવાદમાં લખનઉ સામેની મૅચ દરમ્યાન કાર્તિકે આઇપીએલની કલમ ૨.૩ હેઠળ લેવલ-૧ પ્રકારના અફેન્સની કબૂલાત કરી હતી.
News In Short : દિનેશ કાર્તિકને આચારસંહિતાના ભંગ બદલ ઠપકો
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના દિનેશ કાર્તિકે આઇપીએલની આચારસંહિતાનો ભંગ કર્યો એ બદલ તેને બુધવારની મૅચના મૅચ-રેફરીએ ઠપકો આપ્યો છે. અમદાવાદમાં લખનઉ સામેની મૅચ દરમ્યાન કાર્તિકે આઇપીએલની કલમ ૨.૩ હેઠળ લેવલ-૧ પ્રકારના અફેન્સની કબૂલાત કરી હતી. સામાન્ય રીતે કોઈ ખેલાડી હરીફને ગાળ આપે કે તેની સામે કોઈ ખરાબ વર્તન કરે તો તેને આ કલમ લાગુ પાડવામાં આવે છે.
એશિયા કપ હૉકીમાં ભારત આજે જપાન સામે બદલો લેશે?
ADVERTISEMENT
એશિયા કપ હૉકીમાં યજમાન ઇન્ડોનેશિયાને ગુરુવારે ૧૬-૦થી હરાવીને અને પાકિસ્તાનને આ ટુર્નામેન્ટ તેમ જ આગામી વર્લ્ડ કપની બહાર કરી દેનાર ભારતીય ટીમને આજે સુપર-ફોર રાઉન્ડની પ્રથમ મૅચમાં જપાનને હરાવીને થોડા દિવસ પહેલાં પુલ ‘એ’ની મૅચમાં જોવા પડેલા પરાજયનો બદલો લેવાનો મોકો છે. ભારત વર્લ્ડ કપનું યજમાન હોવાથી એમાં સીધી એન્ટ્રી કરી લીધી છે, પણ એ પહેલાં જકાર્તામાં એશિયા કપની ટ્રોફી ડિફેન્ડ કરવી ભારત માટે ખૂબ જરૂરી છે. જપાનના પ્લેયર્સ ખૂબ ઝડપી છે એટલે ભારતીય ડિફેન્ડરોએ તેમને રોકવા પડશે તેમ જ મિડલના પ્લેયર્સે ગોલ માટેની તક ઊભી કરવી પડશે. જૅપનીઝ ખેલાડીઓ વળતો હુમલો કરીને હરીફોને ચોંકાવી દેવા માટે જાણીતા છે એટલે બીરેન્દ્ર લાકરાની ટીમે જપાનની એ તરકીબથી સાવધ રહેવું પડશે. સુપર-ફોરની બીજી મૅચ સાઉથ કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે.
ભારતને કટોકટીના સમયે વિકેટ અપાવીશ : અર્શદીપ
૯ જૂને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટે સિલેક્ટ થયેલા પેસ બોલર અર્શદીપ સિંહે કહ્યું કે ‘સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાને કટોકટીના સમયે વિકેટ અપાવવાનું મારું સૌથી મોટું લક્ષ્ય રહેશે. ભારત વતી ડેબ્યુ કરવાના સમયની રાહ જોઈ રહ્યો છું. ટીમ ઇન્ડિયા વતી બેસ્ટ બોલિંગ-ઍનૅલિસિસ રજૂ કરી શકું એ પણ મારો ટાર્ગેટ છે.’