ભારત ઇંગ્લૅન્ડ સામે જાણીજોઈને હાર્યું એમ મેં ક્યારેય નથી કહ્યું:સ્ટોક્સ
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનું કહેવું છે કે ભારત તેમની સામે જાણીજોઈને હાર્યું છે એવું મેં ક્યારેય કહ્યું નથી. વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડને બાદ કરતાં દરેક ટીમ સામે જીતી હતી, પણ સેમી ફાઇનલમાં હારી જતાં એ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર સિકંદર બખ્તે ટ્વિટર પર વાત કરતાં ભારત પર એવો આક્ષેપ મૂક્યો હતો કે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરવા માટે ભારત ઇંગ્લૅન્ડ સામે જાણીજોઈને હારી ગયું હતું. આ વિશે સિકંદરે ટ્વિટર પર લખ્યું હતું કે ‘બેન સ્ટોકસે તેની બુકમાં લખ્યું છે કે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરવા માટે ભારત વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇંગ્લૅન્ડ સામે જાણીજોઈને હારી ગયું હતું.’
સિકંદરની આ ટ્વીટથી નારાજ થયેલા સોશ્યલ મીડિયા યુઝર્સે બેન સ્ટોક્સને સવાલ પૂછ્યો હતો કે શું આ વાત સાચી છે? જેનો જવાબ આપતાં કહ્યું કે ‘તમને આ વાત પુસ્તકમાં નહીં મળે, કારણ કે મેં એવું કહ્યું જ નથી. શબ્દરમત કરીને અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સામેની એ મૅચમાં ઇંગ્લૅન્ડે ૭ વિકેટે ૩૩૭ બનાવ્યા હતા, જેની સામે ભારત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૩૦૬ રન બનાવી શક્યું હતું.