કોહલી માટે મોટિવેશન પ્રૉબ્લેમ નથી : સ્ટૉઇનિસ
માર્ક્સ સ્ટૉઇનિસ
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર માર્ક્સ સ્ટૉઇનિસનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી માટે ક્યારેય કોઈ પણ મોટિવેશનની તકલીફ નથી રહી અને તે હંમેશાં પોતાનું ૧૦૦ ટકાથી વધારે આપવાનો પ્રયાસ કરતો હોય છે. ઉલ્લેખનીય છે કે કોહલી પિતા બનવાનો હોવાથી ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચ રમ્યા બાદ ભારત પાછો આવશે.
કોહલી વિશે પોતાના વિચારો પ્રગટ કરતાં માર્ક્સ સ્ટૉઇનિસે કહ્યું કે ‘વિરાટ માટે ચિંતા કરવાની જરૂર નથી. તે જે પણ મૅચ રમે છે એમાં પોતાનું સર્વસ્વ આપે છે. હા, કદાચ તેને માટે વધારાની પ્રેરણા હોઈ શકે છે પણ મને નથી લાગતું કે ૧૧૦ ટકાથી વધારે કોઈ પ્રેરણા હોઈ શકે છે. એ તો જોઈશું. મને ભરોસો છે કે કોહલી ભારત જવા માટે તૈયાર અને ઉત્સુક છે. મારા મતે પોતાના બાળકના જન્મ સમયે ઘરે જવાનો તેનો નિર્ણય યોગ્ય છે. કદાચ એને લીધે તેને વધારે પ્રેરણા મળી શકે છે. મૅચની વાત કરું તો અમારી પાસે પણ અમારી પોતાની વ્યૂહરચના છે અને ભૂતકાળમાં અમે એવી વ્યૂહરચના પર કામ કરી ચૂક્યા છીએ. હા, ક્યારેક એવી વ્યૂહરચના સફળ નથી રહી અને વિરાટ કોહલી રન બનાવી શક્યો હતો.’