સૂર્યકુમારને ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું : લારા
બ્રાયન લારા
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યા છતાં સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. આને લીધે તે પોતે ઘણો નારાજ છે. જોકે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર બ્રાયન લારાનું માનવું છે કે સૂર્યકુમાર યાદવનો સમાવેશ ભારતીય ટીમમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે થવો જોઈતો હતો.
આ સંદર્ભે પોતાના વિચારો પ્રગટ કરતાં બ્રાયન લારાએ કહ્યું કે ‘ખરેખર તે ક્લાસ પ્લેયર છે. હું ફક્ત તેના સ્કોર સામે નથી જોતો; પણ તેની ટેક્નિક, દબાણના સમયમાં રમવાની તેની ક્ષમતા, તે જે ક્રમે આવીને બૅટિંગ કરે છે એવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યો છું. મુંબઈ માટે તેણે ખરેખર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકૉક પછી ત્રીજા નંબરે આવીને તે બૅટિંગ કરતો હતો. એટલું યાદ રાખો કે તમે ઓપનર નથી, એના પછી રમવા આવતા બૅટ્સમેન છો. સામાન્યપણે ઓપનર પછી જે બૅટ્સમેન રમવા આવતો હોય છે તે તમારો શ્રેષ્ઠ પ્લેયર હોય છે જેના પર ટીમ આધાર રાખતી હોય છે. મારા મતે મુંબઈનો તે એવો જ ભરોસાપાત્ર પ્લેયર હતો અને મને સમજણ નથી પડી રહી કે શા માટે ઑસ્ટ્રેલિયાની ટૂરમાં તેનો સમાવેશ કરવામાં નથી આવ્યો.’