નવેમ્બર ૨૦૧૯થી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી નથી
કપિલ દેવ
નવેમ્બર ૨૦૧૯થી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી નથી. તમામ ફૉર્મેટમાં તે ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંદર્ભે કપિલ દેવે કહ્યું કે જો ટેસ્ટમાં સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ડ્રૉપ કરી શકાતો હોય તો કોહલીને પણ ભારતીય ટીમમાંથી ડ્રૉપ કરવો જોઈએ. ગઈ કાલે રમાયેલી બીજી ટી૨૦માં પણ કોહલી માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો. દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીને કારણે કોહલી પાસે હવે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવું સહેલું નથી રહ્યું. ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ વખતે આ વાતને ધ્યાનમાં લેવાશે. કપિલે કહ્યું કે ‘જો તે સારું ન રમે તો તેને ડ્રૉપ કરી શકાય. જો વિશ્વમાં બીજા ક્રમાંક ધરાવતા અશ્વિનને ડ્રૉપ કરી શકાય તો વિશ્વના નંબર-વન બૅટરને પણ ડ્રૉપ કરી શકાય.’