વિરાટ કોહલી કહે છે, ‘મેં વર્કલોડને કારણે જ બૅન્ગલોરની અને ભારતની ટી૨૦ ટીમની કૅપ્ટન્સી છોડવાનું નક્કી કર્યું’
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ વર્તમાન આઇપીએલ પછી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની અને ટી૨૦ વર્લ્ડ કપ પછી ભારતની ટી૨૦ ટીમની કૅપ્ટન્સી છોડવાની તાજેતરમાં જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા અને ચાહકોને નિરાશ કરી દીધા એ પછી તેણે હવે એ નિર્ણયનાં કારણ જણાવ્યાં છે.
કિંગ કોહલીએ આ સૌથી ટૂંકા ફૉર્મેટની ક્રિકેટના સુકાનીપદેથી હટી જવા સંબંધે ગઈ કાલે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં છેવટે મૌન તોડતાં કહ્યું હતું કે ‘કામનો બોજ સૌથી મોટું કારણ છે. મારી જે જવાબદારીઓ છે એ નિભાવવામાં હું ટીમ સાથે કે કોઈની પણ સાથે બેઈમાની કરવા નહોતો માગતો. જો કોઈ કામમાં હું ૧૨૦ ટકા ક્ષમતા ન બતાવી શકતો હોઉં તો હું એ કામમાં આગળ વધતો જ નથી.’
ADVERTISEMENT
૩૨ વર્ષના કોહલીએ ૨૦૧૩ની આઇપીએલથી ડૅનિયલ વેટોરીના સ્થાને બૅન્ગલોરની કૅપ્ટન્સી સંભાળી હતી. ૨૦૧૬માં તેની ટીમ રનર-અપ રહી હતી અને ત્રણ વાર પ્લે-ઑફમાં પહોંચી ચૂકી છે. તે કૅપ્ટન ન રહ્યા છતાં આઇપીએલમાં બૅન્ગલોર વતી જ રમવાનું પસંદ કરશે.