છેલ્લા બે બૉલમાં પાંચ રનની જરૂર હતી ત્યારે એક રન ન લેવા બદલ સૅમસનની ટીકા વિશે બચાવ કરતાં સંગકારા કહે છે કે બીજી વાર સંજુ ૧૦ યાર્ડ દૂર ફટકો મારીને જિતાડશે
સંજુ સૅમસન
પંજાબ સામે કૅપ્ટન સંજુ સૅમસનની રેકૉર્ડબ્રેક ૧૧૯ રનની ઇનિંગ્સ છતાં રાજસ્થાન જીતથી ચાર રન છેટું રહી ગયું હતું. છેલ્લા બે બૉલમાં પાંચ રનની જરૂર હતી ત્યારે સંજુએ ક્રિસ મૉરિસનને પાછો મોકલીને એક રન નહોતો લીધો. છેલ્લા બૉલમાં તે કૅચઆઉટ થઈ જતાં રાજસ્થાનનો પરાજય થયો હતો. પાંચમા બૉલમાં એક રન ન લેવા બદલ સોશ્યલ મીડિયામાં સંજુની ભારે ટીકા થઈ હતી, કેમ કે મૉરિસન પણ સારો હિટર છે.
રાજસ્થાન ટીમના ડિરેક્ટર કુમાર સંગકારાએ સંજુનો આ સંદર્ભે બચાવ કર્યો હતો અને તેની ઇનિંગ્સનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. સંગકારાએ કહ્યું હતું કે ‘સંજુને ભરોસો હતો કે તે છેલ્લા બૉલમાં સિક્સર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવશે. તેણે ઑલમોસ્ટ જીત અપાવી દીધી હતી, પણ જરાક માટે રહી ગયો. આપણે મૅચ દરમ્યાન એકાદ-બે સિંગલ ચૂકી ગયા એ વિશે હંમેશાં ચર્ચા કરીશું પણ મારા માટે મહત્ત્વનું એ હતું કે ખેલાડીનો વિશ્વાસ, તેની કાબેલિયત પર ભરોસો અને કમિટમેન્ટ. સંજુએ મૅચ જિતાડવાની જવાબદારી પોતાના પર લીધી પણ જરાક માટે ચૂકી ગયો. જોકે મને ભરોસો છે કે બીજી વખત સંજુ ૧૦ યાર્ડ દૂર ફટકો મારીને ટીમને જરૂર જિતાડશે.’