ડુપ્લેસિસના હાથે મળેલા જીવતદાન બદલ પણ હાશકારો અનુભવ્યો
કિરોન પોલાર્ડ
ચેન્નઈ સામેની શનિવારની મૅચમાં કિરોન પોલાર્ડે એકલા હાથે મુંબઈ ઇન્ડિયન્સને ચાર વિકેટે જીત અપાવી હતી. પોલાર્ડે ૩૪ બૉલમાં ૬ ચોગ્ગા અને ૮ સિક્સર ફટકારીને અણનમ ૮૭ રન બનાવ્યા હતા, જેને લીધે તે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. પોલાર્ડની પાવરફુલ બૅટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલના ઇતિહાસમાં ૨૧૯ રનનો પોતાનો સર્વોચ્ચ સફળ રન-ચેઝ નોંધાવ્યો હતો, જ્યારે ચેન્નઈની પાંચ મૅચની વિજયી કૂચ અટકી હતી.
મૅચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પોલાર્ડે કહ્યું કે ‘સૌથી પહેલાં તો હું ઈશ્વરનો આભાર માનું છું. અંકલ સ્ટીવને મને તાકાત આપી અને હું આ ફટકાબાજી કરી શક્યો. મારા માટે આ ઘણો સારો દિવસ હતો. ચેન્નઈએ મોઇન અલી પાસેથી વધારે બોલિંગ નહોતી કરાવી જેના બાદ મારી સામે ફાસ્ટ બોલર જ હતા જેમને મારે ફક્ત હિટ કરવાના હતા. વાસ્તવમાં હું સ્પિનર્સને ટાર્ગેટ કરવા માગતો હતો, કેમ કે આ ગ્રાઉન્ડ ઘણું નાનું છે અને હું એનો ફાયદો લેવા માગતો હતો. જાડેજા સામે મારે સૌથી વધારે શૉટ મારવા હતા. કેટલીક સિક્સર ફટકારી તમે મૅચમાં કમબેક કરી શકો છો, પણ એ માટે તમારે ઘણી પ્રૅક્ટિસ કરવી પડે છે. હું ૩૬૦ ડિગ્રીમાં નથી રમી શકતો, પણ કેટલાક ખૂણામાં સારા શૉર્ટ મારી શકું છું. ધવલ કુલકર્ણી આમ ઘણી સારી બૅટિંગ કરે છે, પણ મારે ૬ બૉલ રમવા જરૂરી હતા.’