આ પ્રવાસમાં ગુરુવાર ૨૩ જૂને શ્રીલંકા સામે પ્રથમ ટી૨૦ રમાશે
હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમ ગઈ કાલે લગભગ ૨૦ દિવસના શ્રીલંકાના પ્રવાસે ગઈ ત્યારે ખૂબ ખુશખુશાલ હતી. ૨૩મીએ પ્રથમ મૅચ રમાશે.
મહિલા ક્રિકેટની લેજન્ડ મિતાલી રાજે નિવૃત્તિ જાહેર કરી એ પછીની ભારતીય મહિલા ટીમની પ્રથમ ટૂર ગઈ કાલે શરૂ થઈ હતી, જેમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ કોલંબો પહોંચી ગઈ હતી. આ પ્રવાસમાં ગુરુવાર ૨૩ જૂને શ્રીલંકા સામે પ્રથમ ટી૨૦ રમાશે. કુલ ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે રમાશે. મિતાલી ત્રણ વર્ષથી ટી૨૦ ટીમમાં નહોતી, પરંતુ વન-ડેમાં તે કારકિર્દીના અંત સુધી રમતી રહી હતી. વર્તમાન ટી૨૦ ટીમમાં સૌથી સિનિયર બોલર ઝુલન ગોસ્વામી નથી, પરંતુ મુંબઈની જેમાઇમા ગોસ્વામીએ ટીમમાં કમબૅક કર્યું છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારતીય ટીમનું સ્વાગત કર્યા બાદ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર કૅપ્ટન હરમનપ્રીત તેમ જ સ્મૃતિ મંધાના અને બીજી કેટલાક ભારતીય ખેલાડીઓના ફોટો શૅર કર્યા હતા. પેસ બોલર ઝુલન ઉપરાંત લેફ્ટ-આર્મ સ્પિનર એકતા બિશ્ત અને ઑલરાઉન્ડર સ્નેહ રાણા પણ ટી૨૦ ટીમમાં નથી.