અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને ઈજાના બહાને તેને બીજી ટેસ્ટમાં ડ્રૉપ કરવામાં આવ્યો હતો
વાનખેડેમાં ગઈ કાલે સ્પાઇડર કૅમેરા બંધ પડી જતાં ખલેલ પહોંચતાં કોહલીએ એને માટે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. (તસવીર : એ.એફ.પી.)
ન્યુ ઝીલૅન્ડ સામે વાનખેડેમાં નિર્ણાયક ટેસ્ટ પૂરી થશે ત્યાર બાદ ગણતરીના દિવસોમાં ભારતીય ટીમ પોતાના નબળા મિડલ-ઑર્ડરની ચિંતા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. અજિંક્ય
રહાણે પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને ઈજાના બહાને તેને બીજી ટેસ્ટમાં ડ્રૉપ કરવામાં આવ્યો હતો. ચેતેશ્વર પુજારાના નામે છેલ્લી ચારમાંથી ત્રણ ખરાબ ઇનિંગ્સ (૨૬, ૨૨, ૦ અને ૪૭) છે. વાનખેડેમાં પહેલા દાવમાં ઝીરો (થર્ડ અમ્પાયર વીરેન્દર શર્માના ખોટા નિર્ણય બાદ) પર આઉટ થયા પછી ગઈ કાલે ૮૪ બૉલમાં ૩૬ રન બનાવનાર કૅપ્ટન કોહલીએ મોટા ભાગે તો સાઉથ આફ્રિકા જતાં પહેલાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરવાના હેતુથી જ કિવીઓને શનિવારે ફૉલો-ઑન નહોતી આપી. શ્રેયસ ઐયર વિશે ખાસ કોઈ ચિંતા નથી, પરંતુ વૃદ્ધિમાન સહા (૨૭ અને ૧૩)નું ફૉર્મ પણ વિચારતું કરી દે એવું છે. જો ભારતમાં મિડલ-ઑર્ડર સારું પર્ફોર્મ ન કરી શક્યો તો વિદેશી ધરતી (સાઉથ આફ્રિકામાં) પર કેટલી હદે સફળ થશે એ પણ ચર્ચાનો વિષય છે.