ક્રિકેટર અને મીડિયાને વિઝા આપશે કેન્દ્ર સરકાર, અમદાવાદમાં રમાશે ફાઇનલ
પ્રતીકાત્મક તસવીર
વર્ષના અંતમાં ભારતમાં થનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને મીડિયાને ભારતમાં પ્રવેશ કરવા માટે વિઝા આપવા અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ મંજૂરી આપી દીધી છે. ભારત સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલ મીટિંગમાં શુક્રવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે વિડિયો કોન્ફરન્સના માધ્યમે આ માહિતી આપી હતી.
કેટલાક સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમને એહસાન મણીએ પાકિસ્તાની ખેલાડી, મીડિયા અને ચાહકો માટે ટી૨૦ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને વિઝાની માંગણી કરી હતી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને મીડિયાને અનુમતિ આપ્યા બાદ પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓને ભારતમાં પ્રવેશ અપાશે કે નહીં એ અંગે બીસીસીઆઇ કેન્દ્રિય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. આ ઉપરાંત એપેક્સ કાઉન્સિલની મીટિંગમાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.