ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં વિકેટ લેવાની સાથોસાથ બૅટિંગની ક્ષમતાને જોતાં રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિન બન્નેને રમાડવા જોઈએ એવો મત ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ગઈ કાલે વ્યક્ત કર્યો હતો.
રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિન
ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં વિકેટ લેવાની સાથોસાથ બૅટિંગની ક્ષમતાને જોતાં રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિન બન્નેને રમાડવા જોઈએ એવો મત ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ગઈ કાલે વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હાલમાં ભારત પાસે કોઈ ફાસ્ટ બોલિંગ અને બૅટિંગ કરી શકે એવો ખેલાડી નથી તેથી બૅટિંગ ઑર્ડરમાં જાડેજા ટીમને વધુ એક વિકલ્પ પૂરો પાડે છે. બન્ને ઑલરાઉન્ડરો કોઈ પણ પિચ પર વિકેટ લેવાનો અનુભવ ધરાવે છે. જાડેજાને તમે બૅટિંગ ઑર્ડરમાં ઉપર પણ મોકલી શકો છો. તેનો ડોમેસ્ટિક રેકૉર્ડ પણ યાદ રાખવો જોઈએ. એમાં એણે ત્રણ વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. બીજી તરફ અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.’
‘સ્પોર્ટ્સ ટુડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રજ્ઞાન ઓઝાએ કહ્યું હતું કે ‘સમગ્ર ટીમ પ્રભાવશાળી છે. હનુમા વિહારી પણ સારું રમે છે. તેણે કાઉન્ટી ક્રિકેટમાં પણ રમવું જોઈએ. ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં આંગળીમાં થયેલી ઈજાને કારણે જાડેજાએ ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટની સિરીઝ પણ ગુમાવી હતી. જોકે આઇપીએલમાં તેણે ચેન્નઈ વતી સારું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ અશ્વિને પણ બૅટિંગમાં ઘણો સુધારો કર્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ૧૨૮ બૉલમાં ૩૯ રન કરીને તેણે મૅચને ડ્રૉ સુધી લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’