ખેલ રત્ન માટે મારું નૉમિનેશન પાછું ખેંચવા મેં જ સરકારને કહ્યું:હરભજન
હરભજન સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર હરભજન સિંહે પોતે જ પંજાબ સરકારને રાજીવ ગાંધી ખેલ રત્નમાંથી પોતાનું નૉમિનેશન પાછું ખેંચી લેવાનું કહ્યું હતું. તેનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હોવાથી ઘણી અટકળો ચાલી રહી છે. આ તમામ સવાલોનો અંત લાવતાં ઘણી બધી ટ્વીટ કરીને હરભજને કહ્યું હતું કે મેં પોતે જ મારું નામ પાછું ખેંચવા માટે સરકારને કહ્યું હતું. આ વિશે ટ્વીટમાં હરભજને કહ્યું હતું કે ‘દોસ્તો, પંજાબ સરકાર પાસેથી મને સતત ફોન આવી રહ્યા હતા કે શા માટે તું તારું નામ ખેલ રત્નના નૉમિનેશનમાંથી પાછું ખેંચી લેવા માગે છે. હકીકત એ છે કે હું પ્રાથમિક તબક્કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઇન્ટરનૅશનલ સ્તરે સારો પર્ફોર્મન્સ જોઈએ છે જે હું નથી કરી શક્યો. આથી આ અવૉર્ડ માટે હું એલિજિબલ નથી. મારું નામ પાછું ખેંચવામાં પંજાબ સરકારનો કોઈ હાથ નથી. મારા દોસ્તોને હું વિનંતી કરું છું કે દુનિયામાં કોઈ પણ પ્રકારની માહિતી સર્ક્યુલેટ ન કરો. થૅન્ક યુ.’
અન્ય ટ્વીટ દ્વારા હરભજને કહ્યું કે ‘મારા ખેલ રત્ન અવૉર્ડ માટેના નૉમિનેશનને ધ્યાનમાં રાખીને ઘણા વાદવિવાદ ચાલી રહ્યા છે, જેની મારે સ્પષ્ટતા કરવી છે. હા, ગયા વર્ષે મારું નૉમિનેશન મોડેથી મોકલવામાં આવ્યું હતું, પણ આ વર્ષે મેં જ પંજાબ સરકારને મારું નૉમિનેશન પાછું ખેંચી લેવાની અરજી કરી છે, કેમ કે સરકારે નિર્ધારિત કરેલા ત્રણ વર્ષના નિયમો અનુસાર હું એ યોગ્યતા નથી ધરાવતો. મહેરબાની કરીને આ મુદ્દાને વધારે વખોડો નહીં.’