ત્રીજી ટેસ્ટમાં હાર : ક્રિકેટ છોડો અને ગિલ્લીદંડો રમો
ADVERTISEMENT
આજની હાર સાથે ઘરઆંગણે સતત બે ટેસ્ટ ન હારવાની ૧૨ વર્ષ જૂની પરંપરા તૂટી: અશ્વિનના અણનમ ૮૩ આખી મૅચમાં ભારતીયોમાં ટૉપ સ્કોર : સચિન-પુજારા ૧૦ રન પણ ન બનાવી શક્યા : ૩૬ રનમાં ૬ વિકેટ ગુમાવી : સેહવાગે ધીરજ ગુમાવીને રમવા બદલ બૅટ્સમેનોને ખૂબ વખોડીને કહ્યું કે હવે તો ભગવાન જ બચાવે : આજે ચોથી ટેસ્ટના સિલેક્શનમાં ધરખમ ફેરફારોની સંભાવના
ગઈ કાલનો દિવસ
હવે તો ભગવાન જ બચાવે :વીરુ
કલકત્તા : ભારતે વાનખેડે સ્ટેડિયમની નામોશી પછી ગઈ કાલે ઈડન ગાર્ડન્સની મૅચ પણ એવી જ રીતે ઇંગ્લૅન્ડને તાસક પર લગભગ ધરી દીધી હતી. રવિચન્દ્રન અશ્વિન (૮૩ નૉટઆઉટ, ૧૫૧ બૉલ, ૧૩ ફોર) છેક સુધી ક્રીઝ પર ન ટકી રહ્યો હોત તો ભારતે એક ઇનિંગ્સથી પરાજય જોવો પડ્યો હોત. છેલ્લે ભારત ૨૦૦૦ની સાલમાં ઘરઆંગણે સતત બે ટેસ્ટમૅચ હાર્યું હતું. જોકે આજે એ પરંપરા તૂટવાની તૈયારીમાં છે.
વાનખેડેની જેમ ગઈ કાલે ઈડનમાં પણ બીજા દાવમાં ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને ૨૩૯ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. ૨૦૭ રનની લીડ બાદ કર્યા પછી ભારતના માત્ર ૩૨ રન હતા અને એક જ વિકેટ બાકી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈ કાલની ચોથા દિવસની રમત પછી એક પત્રકારે પ્રેસ-કૉન્ફરન્સ સંબોધવા આવેલા વીરેન્દર સેહવાગને ભારતે ઑર એક પરાજય જોવો પડશે એ વિશે ચિંતા વ્યક્ત કરી ત્યારે સેહવાગે તેને કહ્યું હતું કે ‘હા, અમે બધા બહુ નિરાશ છીએ. આપણે એટલી આશા રાખીએ કે કોઈ ચમત્કાર થાય અને આપણે ટેસ્ટમૅચને ડ્રૉમાં લઈ જવામાં સફળ થઈએ. હવે તો ભગવાન જ બચાવે.’ વાનખેડેની ટેસ્ટમાં ભારત બ્રિટિશરોને માત્ર ૫૭ રનનો ટાર્ગેટ આપી શક્યું હતું જે તેમણે વિના વિકેટે મેળવી લીધું હતું.
૩૬ રનમાં ૬ વિકેટ પડી
ભારતે શરૂઆતની ૬ વિકેટ માત્ર ૩૬ રનમાં (૮૬ રનથી ૧૨૨ રન સુધીના ટોટલ વચ્ચે) ગુમાવી હતી. આ છ પ્લેયરોમાં ખુદ સેહવાગ તેમ જ ચેતેશ્વર પુજારા, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ હતો.
સચિન-પુજારા પૂરા ૧૦ રન પણ નહોતા બનાવી શક્યા, જ્યારે માહી ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. અશ્વિનના અણનમ ૮૩ રન આખી ટેસ્ટમૅચમાં ભારતીયોમાં સર્વશ્રેષ્ઠ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર છે.
ઇંગ્લૅન્ડ આજે સિરીઝમાં ૨-૧થી આગળ થઈ જશે એટલે ચાર મૅચની આ સિરીઝ હારી નહીં શકે.
છેલ્લી ટેસ્ટમૅચ ૧૩ ડિસેમ્બરથી નાગપુરમાં રમાશે.
આજે મોટા ફેરફારો થઈ શકે
નાગપુરમાં ૧૩ ડિસેમ્બરે શરૂ થનારી છેલ્લી ટેસ્ટ માટેની ટીમના આજના સિલેક્શનમાં મોટા ફેરફારોની પાકી સંભાવના છે. યુવરાજ સિંહ અને ઇશાન્ત શર્માની બાદબાકી થઈ શકે. મનોજ તિવારી, રોહિત શર્મા, અમિત મિશ્રા, પીયૂષ ચાવલા અને અશોક ડિન્ડાના નામ પર વિચારણા થવાની શક્યતા છે.
અશ્વિનની ઇનિંગ્સ ટીમ માટે શરજનક નથી : સેહવાગ
સેહવાગે ગઈ કાલે ભારતીય ટીમના બૅટ્સમેનોની ખૂબ ટીકા કરી હતી. પ્લેયરોએ ધીરજ ગુમાવી દીધી એવો ઉલ્લેખ તેણે ત્રણ વખત કયોર્ હતો:
ઈડનની વિકેટ બૅટિંગ માટે કંઈ ખરાબ ન કહી શકાય. એમ છતાં ભારતીય બૅટ્સમેનો સમજદારીથી ન રમ્યા અને વિકેટ ગુમાવી બેઠા.
ભારતીયોએ ધીરજ ગુમાવી દીધી હતી. આ ટેસ્ટમૅચ છે એમાં ધૈર્યપૂર્વક જ રમવું જોઈએ.
છેલ્લી બે ટેસ્ટમાં ભારતીય બૅટ્સમેનોએ ખરાબ બૅટિંગ કરી. જો એક ઇનિંગ્સમાં ૫૦૦થી ૬૦૦ રન બનાવ્યા હોત તો આજે સ્થિતિ જુદી હોત.
કેટલાકને લાગતું હશે કે ૮૩ રન પર નૉટઆઉટ રહેલા અશ્વિનની ઇનિંગ્સ ટીમ ઇન્ડિયા માટે શરમજનક કહેવાય. જોકે હું આવું નથી માનતો. મારી બૅટિંગ-સ્ટાઇલ અલગ છે અને ટીમના બાકીના પ્લેયરોની અલગ છે. અશ્વિન પણ ટીમનો જ એક હિસ્સો છે અને રન કેવી રીતે બનાવવા એ તે સારી રીતે જાણે છે.
પુજારા વિશે હવે કેટલાક ટીકા કરે છે. તેણે ડબલ સેન્ચુરી ફટકારી ત્યારે મિડિયા તેને બીજા રાહુલ દ્રવિડ તરીકે ઓળખાવતું હતું અને બે ઇનિંગ્સ સારું ન રમ્યો એમાં તેને વખોડવા લાગ્યા.
દ્રવિડ અને લક્ષ્મણ વિનાની ટીમનો અત્યારે પરિવર્તનકાળ ચાલે છે અને મને ખાતરી છે કે નાગપુરની છેલ્લી ટેસ્ટમાં અમે કમબૅક કરીશું જ.