ધોનીના રિટાયરમેન્ટની વાતો ફેલાવનારની ઝાટકણી કાઢી સાક્ષીએ
મહેન્દ્ર સિંહ ધોનીના નાનપણના કોચ કેશવ બૅનરજીનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર ભરોસો ન કરો, કારણ કે તે આવતા વર્ષે પણ ટી૨૦ વર્લ્ડ કપ રમી શકે છે. વાસ્તવમાં સોશ્યલ મીડિયા પર ધોનીના રિટાયરમેન્ટની કેટલીક અફવા ઊડી હતી જેનું સાક્ષીએ પણ ખંડન કર્યું હતું. ધોનીના કોચ કેશવ બૅનરજીએ કહ્યું કે ‘ધોની એવી વ્યક્તિ નથી જે બીજાને બોલાવીને કહે કે હું રિટાયરમેન્ટ લઈ રહ્યો છું. તેને ખબર છે કે તેણે કઈ રીતે આગળ વધવાનું છે. તેને જ્યારે લાગશે ત્યારે તે બીસીસીઆઇને જાણ કરશે અને પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને બધાને જાણ કરશે. ટેસ્ટ-કરીઅર માટે તેણે જે પ્રમાણે નિર્ણય લીધો હતો એ પ્રમાણે જ તે આગળ વધશે. તમે સોશ્યલ મીડિયા પર ભરોસો ન કરો. ઘણા એવા સમાચાર છે જે ખોટા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. મને ખબર નથી પડતી કે શા માટે લોકો ધોનીની પાછળ પડ્યા છે. હું તેને બરાબર ઓળખું છું. તે જ્યારે રિટાયરમેન્ટ લેશે ત્યારે લોકોને જાણ કરશે. ધોની હજી પણ એકદમ ફિટ છે. જો ટી૨૦ વર્લ્ડ કપ આવતા વર્ષ માટે પોસ્ટપોન થયો તો ધોની ત્યારે પણ રમી શકે છે.’
ધોનીના રિટાયરમેન્ટની વાતો ફેલાવનારની ઝાટકણી કાઢી સાક્ષીએ
ADVERTISEMENT
લૉકડાઉનના સમયમાં મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટની અફવા તાજેતરમાં ફેલાઈ હતી. જોકે તેની પત્ની સાક્ષીએ એ વાતને અફવા ગણાવી હતી. બુધવારે સાંજે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ ધોની રિટાયરના હૅશટૅગથી અફવા ફેલાવવાની શરૂઆત કરી હતી. ધોની રિટાયરમેન્ટ લઈ રહ્યો છે એ વાતની જાણ થતાં સાક્ષીએ ટ્વીટ કરી હતી કે ‘આ માત્ર અફવા છે! લૉકડાઉને લોકોની માનસિક સ્થિતિ બગાડી મૂકી છે એ સમજી શકાય છે. ધોની રિટાયર થઈ રહ્યો હોવાની અફવા ફેલાવવા કરતાં પોતાની લાઇફ પર ધ્યાન આપો.’