ફિરોઝશાહ કોટલા મેદાનના સ્ટેન્ડને ચેતન ચૌહાણનું નામ આપવામાં આવી શકે
ચેતન ચૌહાણ
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ક્રિકેટર ચેતન ચૌહાણના સન્માનમાં ફિરોઝશાહ કોટલા મેદાનમાં દર્શકોના એક સ્ટેન્ડને તેમના નામ પર રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેની ચર્ચા આગામી બેઠકમાં કરવામાં આવશે. દરમિયાન મુંબઈ ક્રિકેટ અસોસિએશને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સિલેક્શન કમિટીના ભૂતપૂર્વ ચૅરમૅન દિલીપ વેંગસરકરના નામ પરથી વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ રાખવાનું નક્કી કર્યું છે.
ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, દિવંગત ક્રિકેટર ચેતન ચૌહાણના સન્માનમાં ફિરોઝશાહ કોટલા મેદાનમાં દર્શકોના એક સ્ટેન્ડને તેમના નામ પર રાખવાના પ્રસ્તાવ માટેની ડીડીસીએની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભારત તરફથી 40 ટેસ્ટ મેચ રમનારા ચેતન ચૌહાણનું ગત રવિવારે કોરોના વાયરસ સંબંધિત સમસ્યાઓને કારણે અવસાન થયું હતું. તેઓ ડીડીસીએના વાઈસ ચેરમેનથી લઈને મુખ્ય પસંદગીકાર સુધીના ઘણા હોદ્દા પર રહી ચૂક્યા હતાં.
ADVERTISEMENT
મનચંદાએ કહ્યું કે, અમારા સભ્યો માગણી કરી રહ્યા છે કે ડીડીસીએએ ચેતનજીના સન્માન માટે કંઇક કરવું જોઈએ. મોટાભાગના સભ્યો એક સ્ટેન્ડનું નામ આપવાની માગણી કરી રહ્યા છે. હવે પછીની એપેક્સ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરીશું.
જ્યારે મુંબઈ ક્રિકેટ અસોસિએશને મંગળવારે યોજેલી ક્રિકેટની ટોચની બેઠકમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સિલેક્શન કમિટીના ભૂતપૂર્વ ચૅરમૅન દિલીપ વેંગસરકરના નામ પરથી વાનખેડે સ્ટેડિયમ ખાતે નોર્થ સ્ટેન્ડના ત્રણ બ્લોકનું નામ નક્કી કરવામાં આવ્યું છે. મુંબઇ ક્રિકેટ એસોસિએશન એપેક્સ કાઉન્સિલના સભ્ય નદીમ મેમને આ મહીનાની શરૂઆતમાં વેંગસરકરને આ સન્માન આપવાનું સૂચન કર્યું હતું. જેને હવે મંજૂરી આપવામાં આવી છે.
દિલીપ વેંગસરકર
વાનખેડે સ્ટેડિયમાં આટલું મોટું સન્માન મળતા દિલીપ વેંગસરકરે ખુશી વ્યક્ત કરી હતી અને મીડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ખૂબ ભાવનાત્મક થઈ ગયો છું અને આ સન્માનને મહાન અનુભવું છું. વાનખેડે સ્ટેડિયમ મારું ઘરનું મેદાન રહ્યું છે અને એમસીએ મારું હોમ એસોસિએશન છે. તેથી તે તેને વધારે વિશેષ બનાવે છે. હું ટોચની કાઉન્સિલનો આભાર માનું છું. મારા ભારત અને મુંબઇને પણ આભાર.