હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો ગેરરીતિ આચરે ત્યારે...
(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)
ADVERTISEMENT
વિષય : સોસાયટીનો કમિટી સભ્ય બેદરકારી માટે જવાબદાર ગણાયો હોય તો તે દોષી ઠરેલો સભ્ય મૅનેજિંગ કમિટીના સભ્ય તરીકે ચાલુ રહી શકતો નથી.
બૅકડ્રૉપ : કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગેરવ્યવસ્થા થવી એ ખૂબ સામાન્ય બાબત છે. અનેક વાર કમિટીના સભ્યો જાણે તેમણે કોઈને જવાબ આપવાનો જ ન હોય એમ સખતાઈથી તો કોઈ વાર મનફાવે એમ વર્તતા હોય છે. આખરે આ ગેરવર્તણૂક સમસ્યામાં પરિણમતી હોય છે. અહીં એક એવો જ કિસ્સો છે, જેમાં સોસાયટીનો એક સભ્ય સોસાયટીના ચૅરમૅન તેમ જ સેક્રેટરીની સામે સફળતાપૂર્વક લડી શક્યો છે.
કેસ સ્ટડી : માઝગાવમાં આવેલી સરકાર રેસિડેન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી એની મૅનેજિંગ કમિટી દ્વારા ચાલતી હતી. મચ્છરસંવર્ધન તેમ જ મલેરિયાના ફેલાવા પર નિયંત્રણ રાખવું જરૂરી હોવાને કારણે મ્યુનિસિપાલિટીની જરૂરિયાત મુજબ પાણીની ટાંકીઓ પર ખાસ મચ્છર અટકાવવા માટેની જાળી હોવી જરૂરી છે, પણ મ્યુનિસિપાલિટીના અધિકારીઓના એક નિરીક્ષણ દરમ્યાન તેઓને એવું જાણવા મળ્યું કે આ સોસાયટીમાં પાણીની ટાંકીઓ પર આવું મચ્છર અટકાવવા માટેનું આવરણ નથી. એ માટે મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ સોસાયટીના કમિટી સભ્યને જોઈતી કાર્યવાહી કરવાનાં સૂચનો આપ્યાં, પરંતુ તેઓ આ સૂચનોનું અમલીકરણ કરવામાં નાકામ રહ્યા. ત્યાર પછી મ્યુનિસિપાલિટી દ્વારા એક નોટિસ મોકલાવાઈ. ફરી પાછી એ નોટિસની અવગણના થઈ અને આ બાબતસર ચેતવણી આપ્યા પછી પણ કોઈ પણ પ્રકારની સૂચનાનો અમલ થયો નહીં.
પાણીની ટાંકી પર મચ્છર રોકવા માટેની જાળી ન રાખવી એ એકદમ બેજવાબદાર પગલું હોવાની સાથે બેધ્યાનપણાનું વલણ ગણી શકાય છે, જેને કારણે સોસાયટીની પ્રત્યેક વ્યક્તિને મલેરિયાના જોખમની શક્યતા રહે છે.
છેવટે, મ્યુનિસિપાલિટીએ સોસાયટી ઑફિસના સભ્ય ચૅરમૅન સજાઉદ્દીન ભિન્દરવાલા અને સેક્રેટરી અબ્બાસ અત્તરવાલાની સામે ક્રિમિનલ ફરિયાદ નોંધી. દાદરમાં ૪૧ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની ર્કોટ દ્વારા આ કેસના નિકાલનો પ્રયાસ કરાયો હતો. ભિન્દરવાલા અને અત્તરવાલા બન્નેને દોષી ઠેરવાયા હતા અને તેમને વ્યક્તિગત રીતે રૂપિયા ૨૪,૦૦૦નો દંડ કરવામાં આવ્યો. કુલ મળીને રૂપિયા ૪૮,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં કામ સોસાયટી દ્વારા સીધેસીધું નહોતું થયું, પણ એના કમિટી સભ્યો દ્વારા એનું કામકાજ ચાલતું હતું. ચૅરમૅન અને સેક્રેટરી વ્યક્તિગત રીતે ગુનેગાર ઠેરવાયા હતા. આ દંડ તેમની વ્યક્તિગત ક્ષમતા પર હતો અને એ માટેની રસીદ પર તેમનાં વ્યક્તિગત નામ લખવામાં આવ્યાં હતાં. તેમ છતાં ચૅરમૅન અને સેક્રેટરીએ આ પૈસાનું વળતર સોસાયટી ભંડોળમાંથી વસૂલ કરી લીધું હતું.
સલીમ લખહાની નામના સોસાયટીના એક સભ્યે આ સોસાયટી ભંડોળમાંથી લીધેલી રકમ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, મૅનેજિંગ કમિટીએ સોસાયટીના આ કમિટી સભ્યો સામે આ મુદ્દે વિરોધ કરવાનો ઇનકાર કર્યો હતો. એટલે લખહાનીએ બીજા વિકલ્પો પર નજર ઠેરવી. અને એ માટે તેણે કો-ઑપરેટિવ સોસાયટીના મદદનીશ રજિસ્ટ્રારનો સંપર્ક સાધવાનું નક્કી કર્યું.
સોસાયટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે આ દંડ સોસાયટીની પાણીની ટાંકીના સંદર્ભમાં વસૂલવામાં આવ્યો હતો એટલે તેમણે ફરીથી એ સોસાયટીના ભંડોળમાંથી પ્રાપ્ત કરી લીધો હતો. આ બાજુ લખહાનીએ દલીલ કરી કે ફોજદારી કાયદામાં વ્યક્તિગત જવાબદારી હોય છે. ચૅરમૅન અને સેક્રેટરીના નામ પર વ્યક્તિગત રીતે દંડ લાદવામાં આવ્યો હતો એટલે લખહાનીની દલીલ હતી કે સોસાયટીના ભંડોળમાંની રકમ મેળવી લેવી એ ભંડોળમાં ગોટાળા કરેલા ગણાય.
પ્રતિસ્પર્ધીની દલીલ સાંભળ્યા પછી મદદનીશ રજિસ્ટ્રારે જણાવ્યું કે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના મૉડેલ બાઇ-લૉ ૧૧૮ના કાયદાની જોગવાઈની દૃષ્ટિએ ભિન્દરવાલા અને અત્તરવાલા હવે ચૅરમૅન અને સેક્રેટરીના પદને ચાલુ રાખી શકશે નહીં તેમ જ ઉમેદવારી કરી મૅનેજિંગ કમિટીમાં પણ આવી શકશે નહીં, કારણ કે એ લોકો ફોજદારી ર્કોટ દ્વારા ગુનેગાર ઠરાવાયેલા છે. ૧૨ ઑક્ટોબર ૨૦૧૨એ આર. એસ. લોખંડેના આદેશ પ્રમાણે ભિન્દરવાલા અને અત્તરવાલા ચુકાદો આપ્યાની તારીખથી હવે મૅનેજિંગ કમિટીના પદે ચાલુ નહીં રહી શકે. વધુમાં તેઓ પછીનાં છ વર્ષ એટલે કે ૨૦૧૬ સુધીના સમયમાં ચૂંટણી લડી શકશે નહીં.
લખહાનીની ફરિયાદ ચૅરમૅન અને સેક્રેટરીને કાઢી મૂકવાની નહોતી, પણ સોસાયટીના ભંડોળમાં ગોટાળો થયેલો એની હતી, પણ મદદનીશ રજિસ્ટ્રારના કમનસીબે કોઈ અકળ કારણસર ભંડોળમાં થયેલા ગોટાળાના મુદ્દાને અડી પણ શકાયો નહીં.
ઇમ્પૅક્ટ : આ આદેશે બેજવાબદાર કમિટીના કાર્યકર્તાઓની આંખ ઉઘાડી છે. જે ગોટાળાની સામે આંખ આડા કાન કરાયા છે એ માટેની લડત હજી ચાલુ છે.
તાજા ગ્રાહક સમાચાર : મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની બેન્ચ પરના પાંચ જજે જણાવ્યું કે હવેથી ટેલિફોન અને ટેલિકૉમ વિવાદો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જળવાશે. અત્યાર સુધી સમગ્ર દેશમાં કન્ઝ્યુમર ફોરમ એ વિચારીને ટેલિફોન ફરિયાદને નકારતા હતા કે આ ટેલિકૉમ વિવાદો તેમના અધિકારક્ષેત્રની અંદર આવતા નથી. એટલે આ એક નોંધનીય ચુકાદો છે. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનનો આ સીમાચિહ્ન ચુકાદો ૬ નવેમ્બર ૨૦૧૨એ રોજ ઉચ્ચારવામાં આવ્યો હતો.