અમી મહેતાએ કહ્યું કે, મને ગરબાનો ખૂબ જ શોખ છે, આ વર્ષે હું ગરબાને ખૂબ જ મિસ કરી રહી છું. કોરોનાના કહેરને જોતા અમે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ફક્ત માતાજીની આરતી કરીએ છીએ. જો સરકારે બધી જ છૂટ આપી દીધી હોત તો કદાચ કોરોનાનું સંક્રમણ વધી ગયું હોત. માતાજીની કૃપાથી બધુ સારી થઈ જશે પછી આવતા વર્ષે ફરી પહેલાની જેમ નવરાત્રીની ઉજવણી કરીશું. માતાજી પણ જોઈ રહ્યા છે કે આપણે કેટલુ બધુ મિસ કરી રહ્યા છે. દરેકનો અંદરથી જીવ બળી રહ્યો છે.
ચેતના મહેતાએ કહ્યું કે, ગરબાને ખૂબ જ મિસ કરી રહું છું કારણ કે દર વર્ષે પાર્ટીપ્લોટમાં પણ જોવા જતા હોઈએ છે એટલે દર વર્ષ જેવી રોનક આ વખતે નથી. જોકે હાલની મહામારીમાં એક વર્ષ ગરબા ન રમવા જોઈએ કારણ કે નવરાત્રીના ગરબા તો આવતા વર્ષે પણ થઈ શકશે. અમે પણ ઘરે બેસીને જ પૂજાપાઠ કરી રહ્યા છીએ. હાલ આપણે પ્રાર્થના કરીએ કે આ મહામારીનો જલદી અંત આવે.
તેજસ દેસાઈએ કહ્યું કે, સરકારે ગરબા માટે પરવાનગી આપવી જોઈતી હતી. કદાચ લોકોએ ગાઈડલાઈનનું પાલન કરીને ગરબા રમ્યા હોત તો વાતાવરણ આનંદિત થયુ હોત. મોટા આયોજનો ઉપર પ્રતિબંધ મૂક્યો એ વાજબી છે પરંતુ સદંતર પ્રતિબંધ ન મૂકવો જોઈએ એવો મારો અંગત વિચાર છે. જોકે કોરોનાના કહેરને જોતા લોકોનું જીવ પણ પ્રાથમિક ધોરણે આવે છે.
પારૂલ મહેતાના મતે કોરોના મહામારીને લીધે ગરબા ઉપર પ્રતિબંધનો નિર્ણય વાજબી છે. આપણે બધા ગરબાને ખૂબ મિસ કરીએ છીએ પરંતુ જેને ગરબા રમવા જ હોય તેઓ ઘરમાં પણ રમી શકે છે. અમે ઘરે જ આધ્યશક્તિની આરાધના કરીએ છીએ.
ગુજરાત સરકારના ગરબા ઉપરના પ્રતિબંધના નિર્ણયમાં પોતાની સહમતિ વ્યક્ત કરતા ફોરમ પટેલે કહ્યું કે, વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકોએ હાલ પોતાના અને પોતાના કુટુંબના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.
ઋત્વિક ઠક્કરે કહ્યું કે, એક પ્રોફેશનલ મ્યુઝિશિયન છું એટલે મારા માટે આ વખતની નવરાત્રી ખૂબ જ નકારાત્મક બની છે. મારા જેવા દરેક મ્યુઝિશિયન નવરાત્રીના શોને મિસ કરતા હશે. પરંતુ વૈશ્વિક મહામારીને લીધે આ વખતે તહેવારની ઉજવણી કરવી શક્ય પણ નહોતી.
સોનલબેન મહેતાએ 351 દિવાની આરતીની આ તસવીર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરતા કહ્યું કે, શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ છે, જોકે ગ્રામીણ વિસ્તારમાં હજી એટલો ફેલાયો નથી. તેમ છતાં અમારા ગામમાં અમે દરેક સાવચેતી રાખીએ છીએ અને સરકારની દરેક ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ. માતાજીની કૃપા હશે તો આ મહામારીનો અંત આવશે.
ભૂમિકા મહેતાએ ગુજરાત સરકારના ગરબા ઉપરના પ્રતિબંધના નિર્ણય બાબતે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, સરકારે જે પ્રતિબંધ મૂક્યો તો આપણા સુરક્ષા માટે જ મૂક્યો છે તેથી સરકારને પણ સપોર્ટ મળવો જોઈએ. સરકાર જે પણ કરી રહી છે તે આપણા માટે કરી રહી છે. ગરબા રમશું તો કોરોનાનો ચેપ આપણને જ લાગવાનો ભય રહેશે, હૉસ્પિટલમાં ઈલાજ માટે બેડ પણ ન મળે એવી પરિસ્થિતિ ઉભી થાય તો શું કરીશું?. એક ગુજ્જુ તરીકે મને દુઃખ છે કે આ વખતે ગરબા નથી થઈ રહ્યા. પરંતુ આ પરિસ્થિતિને આપણે શોર્ટ ટર્મ લોસ અને લોંગ ટર્મ ગેઈન તરીકે જોઈએ.
વડોદરા નિવાસી દિશા પટેલે કહ્યું કે, હું ગરબાને ખૂબ જ મિસ કરી રહું છું. ઘરે રહીને તમે નવરાત્રીની આરતી કરી શકો પરંતુ ગરબા રમવાની પણ અલગ જ મજા હોય છે. અમે ઘરમાં જ ગરબા રમીએ છીએ અને માતાજીની આરતી કરીએ છીએ, પરંતુ દર વર્ષે જે નવરાત્રી થતી હોય છે તેને મિસ કરીએ છીએ એ વાત સ્પષ્ટ છે.
ફાલ્ગુની મહેતાએ કહ્યું કે, હુ ગરબાને ખૂબ મિસ કરી રહુ છુ કારણ કે મને નવરાત્રીનો ખૂબ જ શોખ છે. જોકે સરકારનો પ્રતિબંધનો નિર્ણય પણ વાજબી છે કારણ કે જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આમ તો નાગરિકો સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી જ રહ્યા છે પરંતુ ગરબા રમતી વખતે કદાચ સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જળવાત અને મોટા પાયે પબ્લિક ભેગી થાય એટલે સંક્રમણ વધવાનો પણ ખતરો રહ્યો હોત. ગરબા રમવાથી માણસ થાકી જાય, થાકી જવાની શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે તેથી સંક્રમણની શક્યતા વધી શકે એવો મારો અંગત વિચાર છે.
કોમલ પટેલ એક ગરબા લવર છે એટલે તે નવરાત્રીની રોનકને ખૂબ જ મિસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જોબથી આવીને ભલે જે ટાઈમે આવીએ પણ ફટાફટ રેડી થઈને ગરબા રમવા જવાની મજા જ અલગ છે. આ વખતે આ બધુ મિસિંગ હોવાથી ખૂબ જ સુનુસુનુ લાગે છે. મારા જેવા કેટલા બધા ગરબા લવર હશે એ લોકોને પણ મારા જેવો અનુભવ થતો હશે. જોકે અમે ચાર-પાંચ ફ્રેન્ડ્સએ મારા ઘરના હોલમાં જ માતાજીના ગરબા યુટ્યુબ પર ચાલુ કરીને રમ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ હતો જે ફક્ત પાંચ જણમાં જ પતાવી દીધો. જોકે રેડી થઈને ગ્રાઉન્ડમાં રમવાની જે મજા છે તે અલગ જ છે એ ઘરમાં ન આવી. એક ગરબા લવર તરીકે હું માનુ કે સરકારે ગરબા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હોત તો સારુ થાત, જોકે વૈશ્વિક મહામારીને લીધે આપણે આ વર્ષે દરેક તહેવારને મર્યાદિત રીતે ઉજવ્યો છે તેથી નવરાત્રીમાં પણ સંયમ રાખીએ. જો એક ગ્રાઉન્ડમાં ગરબાની પરમિશન મળે તો કેટલા લોકો ભેગા થાય, પરિણામે સોશ્યલ ડિસ્ટન્સીંગ કદાચ ન પણ જળવાય. ભગવાન ન કરે પણ જો આપણા કુટુંબમાં જ કોઈ કઈ થઈ જાય તો આપણને આખી જિંદગી અફસોસ રહે. તેથી સરકારને પરવાનગી ન આપી એ આપણી સલામતિ માટે જ સારુ છે. આશા કરું છું કે આવતા વર્ષે પરિસ્થિતિ સુધરશે અને આપણે આવતા વર્ષે નવરાત્રીને ખૂબ એન્જોય કરીશું.
ભક્તિ ઘાસકટાએ તેમની મમ્મી ઈલા ઘાસકટા સાથેનો ફોટો શૅર કરતા કહ્યું કે, હું અને મારી મમ્મી અને એક બેસ્ટ ફ્રેન્ડ સાથે મળીને આ વર્ષે ઘરમાં ગરબા રમ્યા પરંતુ બહાર જઈને માતાજીની આરતી કરી લોકો સાથે મળીને ગરબા રમવાની જે અનુભવ છે તે અલગ જ છે, જેને આ વર્ષે મિસ કરું છું. દર વર્ષે ઓફિસથી આવીને ફટાફટ રેડી થઈને ગ્રાઉન્ડમાં રમવા જતા, જે આ વખતે મેજર મિસિંગ છે. સરકારે ગરબા ઉપર પ્રતિબંધ મૂક્યો એ નિર્ણય વાજબી છે કારણ કે ગરબામાં લોકો ભેગા થયા હોત અને કોરોનાના કેસમાં વધારો થયો હોત.
અમદાવાદના નિવાસી ધ્રુવ પુરોહિતના મતે આ વખતે નવરાત્રીની કોઈ એક્સાઈટમેન્ટ જ નથી. ધ્રુવે કહ્યું કે, આ વખતે ગરબા વગરની નવરાત્રી એટલે જાણે ચીઝ વગરના પિઝા જેવી બની છે. સરકારનો નિર્ણય પણ વાજબી છે કારણ કે કોરોનાના લીધે દરરોજ મૃત્યુ થઈ રહ્યા છે. આ એક વૈશ્વિક મહામારી છે જેથી આપણે બધાએ સાવચેત રહીને પોતાના અને કુટુંબના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.
ઈશા શાહે કહ્યું કે, સરકારે ગરબા ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે તેને લોકોએ સકારાત્મકતાથી જોવો જોઈએ કારણ કે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવાયો છે. ગરબામાં ભીડ વધી હોત અને કોરોના સંક્રમણમાં પણ ફેલાયો થયો હોત. હું ગરબાને મિસ કરી રહુ છુ કારણ કે નવરાત્રીમાં તૈયાર થઈને પાર્ટીપ્લોટમાં ગરબા રમવા જવાની મજા જ અલગ હોય છે.
શિતલ પટેલ અને મિહીર પટેલે પણ ગયા વર્ષની નવરાત્રીનો ફોટો શૅર કરતા સરકારના ગરબા ઉપરના નિયંત્રણના પગલાને ટેકો આપતા કહ્યું હતું કે, તેઓ આ વર્ષે ગરબાને મિસ કરી રહ્યા છે.
હીરલ મહેતાએ કહ્યું કે, ડૉક્ટરો પણ હવે કંટાળ્યા છે, એકબાજુ કોરોનાના કેસ સતત વધતા હોવાથી ડૉક્ટરો રાત-દિવસ કામ કરે છે. તેઓ પોતાના કુટુંબને સમય ફાળવી શકતા નથી. જો ડૉક્ટર્સ અને તેમનો સ્ટાફ આટલુ બલીદાન આપી શકે તો આપણે એક વર્ષ ગરબા ન રમવાનું બલીદાન ન આપી શકીએ?. ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી જોઈએ.
ધ્વની વ્યાસે કહ્યું કે, આ વર્ષે હું નવરાત્રીની રોનકને ખૂબ જ મિસ કરી રહું છું. નવરાત્રીની મજા જ કંઈક અલગ હોય છે. મિત્રોને મળવાનું, ગરબા બાદ જે નાસ્તો કરવા જઈએ, કઝીન્સ ભેગા થાય વગેરે આ વખતે મિસ કરી રહું છું. જોકે હાલમાં કોરોનાના કહેરને જોતા આ બધી વસ્તુ જરૂરી ન ગણાય. મે ફાર્મસીસ કરેલુ છે એટલે આ મહામારીની ગંભીરતાને સમજુ છું. સરકારનો પ્રતિબંધનો નિર્ણય સાથે હુ સહમત છું. લોકોએ પણ પોતાના આરોગ્યની કાળજી રાખવી જોઈએ.
કોરોના મહામારીને લીધે રાજ્ય સરકારોએ નવરાત્રીમાં આરતી કરવાની પરવાનગી આપી પરંતુ ગરબા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી સ્વાભાવિક છે કે ગુજરાતીઓ નારાજ થયા હશે. જોકે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતના વિચાર વ્યક્ત કરતા એકંદર દૃષ્ટિએ કહી શકાય કે ગુજરાતી ભાઈ-બહેનો સરકારના આ નિર્ણયથી સંમત છે.