નવરાત્રિમાં કોરોનાસુરનો વધ કરતા દૈવી સ્વરૂપ ડૉક્ટરોની મૂર્તિઓની બોલબાલા
દુર્ગાપૂજા
મહારાષ્ટ્રના ગણેશોત્સવની માફક બંગાળની દુર્ગાપૂજામાં પણ સાંપ્રત સમસ્યાઓ અને સામાજિક જનજાગૃતિના મુદ્દાના પ્રતિબિંબ જોવા મળે છે. કલકત્તામાં દુર્ગાપૂજાના એક મંડપમાં હિજરતી મજૂર મહિલાની પ્રતિમાએ જનસમુદાય પર હૃદયસ્પર્શી પ્રભાવ પાથર્યો છે. બીજી બાજુ કોરોના રોગચાળાની પરિસ્થિતિની અસર પણ દુર્ગાપૂજાની પ્રતિમાઓ અને મંડપની સજાવટોમાં જોવા મળે છે.
મહિસાસુર મર્દીનીના રૂપના પ્રતીકનો ઉપયોગ સામાજિક દૂષણો, કુદરતી કે માનવસર્જિત આફતો અને રોગચાળા જેવી વ્યાધિઓને ખતમ કરનારા દેવીના રૂપ તરીકે પણ કરવામાં આવે છે. દુર્ગાપૂજા મંડપની મૂર્તિઓની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ છે. એમાં સાડી પર લેબકોટ અને સ્ટેથોસ્કોપ ધારણ કરનારા ડૉક્ટરને કોરોનાસુરના પૂતળાના પડખે ઇન્જેક્શનની સિરિન્જ ભોંકીને તેને ખતમ કરતા હોય એ રીતે દુર્ગારૂપે બતાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દુર્ગામાતાનાં ચાર સંતાનોના રૂપમાં ફ્રન્ટલાઇન અસેન્શિયલ ઍન્ડ હેલ્થ સર્વિસિસ વર્કર્સ બતાવવામાં આવ્યાં છે. તસવીરમાં લક્ષ્મીમાતા નર્સરૂપે, સરસ્વતીમાતા શિક્ષિકારૂપે અને ભગવાન કાર્તિકેય સ્વામી સૅનિટેશન વર્કરના રૂપમાં રક્ષણહાર બન્યાં હોવાનું જોવા મળે છે. કોઈ કહે છે કે તસવીરમાં મંડપ કલકત્તાનો છે. કોઈ એ સ્થળ આસામમાં ગુવાહાટી કે અન્ય સ્થળનું હોવાનું માને છે. કોઈ વળી ઝારખંડની ઘટના હોવાનું પણ માને છે. જોકે આ તસવીર કયા સ્થળની છે એ હજી નિશ્ચિત રૂપે જાણી શકાયું નથી.