ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક રેસ્ટોરાંએ કેન્દ્રના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું
તિરંગા મેનુ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક રેસ્ટોરાંએ કેન્દ્રના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું. આ વાનગીઓનો મૂળ હેતુ તિરંગાના રંગોને રજૂ કરવાનો તેમ જ લોકોને દેશભક્તિના રંગે રંગવાનો પ્રયાસ કરવાનો છે. ગ્રાહકો માટે જોવામાં સુંદર અને લોભામણી તેમ જ મનને લલચાવનારી આ ડિશ રજૂ કરનારી રેસ્ટોરાંના સંચાલક નીતીશ શુક્લાએ કહ્યું હતું કે આમ કરવા પાછળનો મુળ હેતુ કાંઈક હટકે કરવાનો હતો.
નીતીશનું કહેવું છે કે તે આર્મી બૅકગ્રાઉન્ડમાંથી આવે છે, તેથી આ વર્ષે કંઈક અલગ કરવાનું વિચારીને અમારી વાનગીઓ ગ્રાહકો સમક્ષ આપણા તિરંગાના સ્પર્શ સાથે રજૂ કરવામાં આવી છે. આમ કરીને અમે આ વર્ષના આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છીએ. ભારતની આઝાદીની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે સરકારે ગયા મહિને ‘હર ઘર તિરંગા’ અભિયાનની જાહેરાત કરી હતી.