યોગીજીએ છેલ્લા થોડા દિવસો દરમ્યાન તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પોતાનું ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપી છે.
યોગી રસી લીધા પછી નવમા દિવસે કોવિડ-પૉઝિટિવ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કોરોના-પૉઝિટિવ જાહેર થયા છે. ગઈ કાલે એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે કોવિડ-19નાં પ્રાથમિક લક્ષણો જણાતાં જ ટેસ્ટિંગ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે તેમની ટીમના અન્ય અધિકારીઓના ટેસ્ટિંગનું પરિણામ પણ પૉઝિટિવ આવ્યા બાદ મંગળવારે સાંજે તેઓ સેલ્ફ આઇસોલેટ થયા હતા.
યોગીએ ટ્વીટમાં ઉમેર્યું હતું કે તેઓ ડૉક્ટરના નિર્દેશનું પાલન કરી આઇસોલેશનમાં રહેશે તથા વર્ચ્યુઅલ માધ્યમથી પોતાનું કામ સંભાળશે. યોગીજીએ છેલ્લા થોડા દિવસો દરમ્યાન તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પોતાનું ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપી છે.
યોગીએ પાંચમી એપ્રિલે (૯ દિવસ પહેલાં) કોવિડ-વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે રસીનો બીજો ડોઝ લીધા બાદ શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે.
ઉત્તર પ્રદેશમાં ૧૨ અમલદારો, ૨૦ અધિકારીઓ સંક્રમિત
ADVERTISEMENT
કોરોનાની લહેરની સૌથી માઠી અસર ઉત્તર પ્રદેશની અમલદારશાહી પર જોવા મળી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સેલ્ફ આઇસોલેશનમાં ગયા તે જ દિવસે એટલે કે મંગળવારે તેમની ટીમના અધિકારીઓએ કોવિડ ટેસ્ટ કરાવતાં લગભગ ૧૨ આઇએએસ અધિકારીઓ કોરોના વાઇરસ સંક્રમિત જાહેર થયા હતા. આ ઉપરાંત ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના ૨૦ અધિકારીઓ પણ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
‘ચૂંટણી યોજો, કોરોના ભગાડો’ પટનામાં ઠેર-ઠેર લાગ્યાં પોસ્ટરો
કોરોનાના કારણે આખો દેશ બેહાલ છે અને રોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. જોકે સરકાર અને રાજકીય પક્ષો ચૂંટણીના આયોજન અને પ્રચારમાં વ્યસ્ત છે.
જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે તે રાજ્યોમાં તો જાણે કોરોના છે જ નહીં તેવાં દૃશ્યો દેખાય છે. એટલે એવી રમૂજ પણ ચાલી રહી છે કે કોરોના ભગાડવો હોય તો ચૂંટણી યોજવી જોઈએ.
બિહારના પટનામાં આવી જ મજાક કરતું એક પોસ્ટર ચર્ચામાં આવ્યું છે. જાહેર સ્થળોએ લગાડાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ભગાડવા માટે બિહારમાં પણ ચૂંટણી યોજાવી જોઈએ. કારણકે મુખ્ય પ્રધાનથી તો કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા પોતે જ આઇસીયુમાં છે. એટલે કોરોનાની સાથે-સાથે બેરોજગારી ભગાડવા માટે બિહારમાં તરત ચૂંટણી કરાવવાની જરૂર છે.