સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે હવેથી મહિલાઓ નૅશનલ ડિફેન્સ એકૅડેમી(એનડીએ)માં પ્રવેશ મેળવી શકે છે અને એનડીએના માધ્યમથી દેશના સૈન્યમાં પણ જોડાઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે હવેથી મહિલાઓ નૅશનલ ડિફેન્સ એકૅડેમી(એનડીએ)માં પ્રવેશ મેળવી શકે છે અને એનડીએના માધ્યમથી દેશના સૈન્યમાં પણ જોડાઈ શકે છે.
એનડીએના દ્વાર મહિલાઓ માટે ખોલવાની માગણી કરતી અૅડ્વોકેટ કુશ કાલરાની જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચને અૅડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ઉપરોક્ત માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકારે ઉચ્ચ સ્તરે લીધેલા આ નિર્ણય સાથે લશ્કરની ત્રણેય પાંખોના વડા સંમત થયા છે.
એનડીએમાં મહિલાઓને લગતી આ છૂટ પર્મેનન્ટ કમિશન માટેની છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પૉલે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આપણા દેશમાં સશસ્ત્ર દળોને ખૂબ જ માનપૂર્વક જોવામાં આવે છે, પરંતુ જાતિની સમાનતાના મુદ્દે સરકારે વધુ કરવાની જરૂર છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ૫ સપ્ટેમ્બરની એનડીએની પરીક્ષામાં મહિલાઓને પણ બેસવા દેવાની છૂટ આપવા સંબંધમાં વચગાળાનો હુકમ બહાર પાડ્યો હતો.