સિબલે ગઈ કાલે સવારે મમતાની કમેન્ટનો ઉલ્લેખ કર્યા વિના ટ્વિટર પર લખ્યું હતું
કપિલ સિબલ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજીએ દેશમાં યુપીએનું અસ્તિત્વ જ ન રહ્યું હોવાનું જણાવ્યા બાદ કૉન્ગ્રેસ લીડર કપિલ સિબલે એનો જવાબ આપ્યો હતો.
સિબલે ગઈ કાલે સવારે મમતાની કમેન્ટનો ઉલ્લેખ કર્યા વિના ટ્વિટર પર લખ્યું હતું કે ‘કૉન્ગ્રેસ વિના યુપીએ આત્મા વિનાનું શરીર રહી જશે. વિપક્ષોની એકતા બતાવવાનો સમય આવી ગયો છે.’
મમતાએ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બીજેપીને પરાજિત કરવી હોય તો પ્રાદેશિક પક્ષોએ એકસાથે આવવું પડશે.’
હવે એના જવાબમાં સિબલે એવા સમયે કમેન્ટ કરી છે કે જ્યારે કૉન્ગ્રેસના અનેક અસંતુષ્ટ નેતાઓ તૃણમૂલમાં જોડાઈ રહ્યા છે.
કૉન્ગ્રેસના નેતાઓ મમતાના દાવા વિશે સતત રીએક્ટ કરતા રહ્યા છે જેમ કે કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે એ વિચારવું માત્ર સ્વપ્ન જ છે કે કૉન્ગ્રેસ વિના કોઈ પણ બીજેપીને હરાવી શકે છે.